ગુજરાતમાં હનુમાન દાદાના અઢળક મંદિરો આવેલ છે. પણ અબોલ શ્વાનોના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. ત્યારે આજે હનુમાન જયંતી હોઈ મંદિરો ભક્તોની ભારે ભીડ જામી હતી. ત્યારે આ મંદિર રોટલીયા હનુમાનના નામે જાણીતું છે.
અબોલ શ્વાનોના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે
હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢે પણ પાટણમાં મંદિરમાં રોટલા અને રોટલીનો પ્રસાદ ચઢે
મંદિરે દર્શન કરવા જાઓ તો રોટલા કે રોટલીઓ જરૂર લેતા જવું
આપણો દેશ ભારત તેની સંસ્કૃતિ અને મંદિરને લઈને દુનિયાભરમાં ઓળખીતો છે. સાથે જ આપણા ગુજરાતમાં પણ અઢળક મંદિરો આવેલ છે. આપણે બધાએ અઢળક મંદિરો જોયા હશે પણ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર સમગ્ર વિશ્વમાંથી સૌથી અનોખું અને અનોખી સેવા પૂરી પાડતું છે આવ્યું છે. આ અનોખું મંદિર આપણા ગુજરાતના પાટણ શહેરમાં આવેલું છે.
ગુજરાતના પાટણ શહેરમાં આવેલું છે આ અનોખુ મંદિર
આપણા ગુજરાતમાં હનુમાન દાદાના અઢળક મંદિરો આવેલ છે પણ અબોલ શ્વાનોના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિર રોટલીયા હનુમાનના નામે જાણીતું છે. પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે આમ તો હનુમાન દાદાના મંદિરે હનુમાનને સિંદૂર કે વડા ચડતા હોય છે પણ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચઢે છે.
રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ
હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે પણ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો.
મંદિરે દર્શન કરવા જાઓ તો રોટલા કે રોટલીઓ જરૂર લેતા જવું
પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે અને સાંજ પડે મંદિરના વ્યવસ્થાપકો મોટી માત્રામાં રોટલા રોટલીઓ ભેગા કરે છે અને તે રોટલાઓ અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગીની ઠારી રહ્યા છે. જણાવી દઈએ કે ગુરૂવાર અને શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. જણાવી દઈએ કે મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે અને મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
હનુમાન દાદાનું મંદિર પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું
રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચઢાવે છે ત્યારે એ રોટલી કે રોટલો નીચે ગર્ભ ગૃહમાં જતા રહે છે. જણાવી દઈએ કે ઉપર મંદિરથી ચઢાવવામાં આવેલા રોટલા રોટલી નીચે માળ એક મોટા વાસણમાં ભેગા થાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજ પડ્યે એ રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. જણાવી દઈએ કે લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે માનતા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા 5, 11, 21, 51 કે 101 રોટલા કે રોટલી હનુમાન દાદાને ચઢાવે છે.
આપણને ભૂખ લાગતી હોય તો અબોલ શ્વાનોને કેમ નહીં ?
ભૂખ્યા અબોલ શ્વાનોના પેટનો ખાડો પુરાય તે માટે પાટણનાં સેવાભાવી તેમજ જીવદયા પ્રેમી એવા સ્નેહલભાઈ પટેલનાં મનમાં એક વિચાર આવ્યો કે બે ટાઈમ આપણને ભૂખ લાગતી હોય તો અબોલ શ્વાનોને કેમ નહીં એમને પણ ભૂખ લાગતી હોય પણ એમને કોણ ખવડાવે એમના માટે ખાવાનું કોણ બનાવે ? બસ એમને એક સંકલ્પ કર્યો કે અબોલ શ્વાન ભૂખે ન મરે એ હેતુથી એમને પાટણમાં રોટલીયા હનુમાનના નામથી મંદિરનું નિર્માણ કર્યું હતું અને આજે સમગ્ર પાટણ પંથકમાં રોટલીયા હનુમાન મંદિર ખુબ પ્રચલિત થયું છે. રોટલીયા હનુમાન મંદિરે કોઈપણ જાતના ભુવા ભોપાળા કે દોરા ધાગા કરવામાં આવતા નથી બસ મનમાં રોટલીયા હનુમાનની ટેક રાખી રોટલા રોટલી ચડાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. આ મંદિર પટાંગણમાં રોટલાની તુલા પણ થાય છે એટલે કે માણસના વજન જેટલા રોટલા હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે.
જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પર ચાલુ કરવામાં આવ્યુ છે સ્વીચ દબાવતાની સાથેજ અસંખ્ય રોટલીઓ ઘડીવારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. ભૂખ્યા અબોલ શ્વાનો પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય તેમ ભગવાનને ચઢાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ ભાગી આનંદના ઓડકાર લે છે.