કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવો જ એક કિસ્સો રંગીલા રાજકોટ શહેરના લોધીકા તાલુકામાં 3 હજાર લોકોની વસ્તી ધરાવતું દેવગામમાં રહેતા જયંતીભાઇ ચૌહાણનો છે. 60 વર્ષીય જયંતીભાઈ ચૌહાણ દિવ્યાંગ હોવા છતાં ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2005 થી એક ટર્મ સરપંચ હતા. જયંતીભાઈની કામગીરી યુવાનોને પણ શરમાવે તેવી છે.
દિવ્યાંગ જયંતીભાઇનો જુસ્સો સામાન્ય લોકોને પણ શરમાવે છે
બંન્ને હાથ ન હોવા છતાં ચલાવે છે કાર
નોંધનીય છે કે, તેમને જન્મથી બંને હાથ ન હોવા છતાં પગ ની મદદથી કાર ચલાવે છે. મિત્રો-પરિવારને લઈને સોમનાથ અને દ્વારકા સુધી લઈને ગયા છે. કારમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના જ તેઓ કાર ચલાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
પગની મદદથી કરે છે પેઇન્ટિંગ
તેઓ પગની મદદથી પેઇન્ટિંગ પણ કરે છે. અન્ય દિવ્યાંગો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે. તેઓ પગથી ડ્રાઈવિંગ, પેઇન્ટિંગ અને લખાણ લખવાની સાથે જમતા પણ જોવા મળે છે.
દિવ્યાંગ હોવા છતાં જુસ્સો સામાન્ય લોકોને શરમાવે તેવો
દિવ્યાંગ હોવા છતાં પગથી પેઇન્ટિંગ કરવાની પ્રેરણા કુદરતે આપી હોવાનું જણાવતા જયંતીભાઈ કહે છે કે, તમામ દિવ્યાંગોને ઈશ્વરે હંમેશા કંઈક વિશેષ શક્તિ આપી હોય છે. તેને ઓળખીને તેના પર મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે છે.
સતત મોજમાં રહો
જયંતિભાઇના મિત્ર વિજયભાઈ પીપળીયા કહે છે દિવ્યાંગ હોવા છતાં તેઓ હાલ સસ્તા અનાજની સરકારી દુકાન ચલાવું પણ ચલાવે છે. આમ ઈશ્વરે ભલે તેમને હાથ નથી આપ્યા પણ તેઓ ક્યારેય નિરાશ થયા નથી. ઉલટાનું તમામને સતત કહેતા હોય છે કે ભગવાને જે આપ્યું છે તેનો સંતોષ લો અને અન્ય શક્તિ ખીલવો. સતત મોજ માં રહો.
જ્યંતીભાઈ પરિણીત છે, સંતાન છે
દિવ્યાંગ હોવાનો તેમના ચહેરા પર ક્યારેય અફસોસ જોવા મળતો નથી. તેઓ પગની મદદથી કાર્યો કરે છે તો જોનાર દંગ રહી જાય છે. પત્ની ઇન્દુબેન અને પરિવારનો પૂરો સહયોગ તેમને મળી રહ્યો છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા જ્યંતી ભાઈ દિવ્યાંગો માટે સાચા અર્થમાં પ્રેરણારૂપ છે.