આપણને સૌને પ્રકૃતિના ખોળે રમવું બહુ ગમે છે. ગમે તે તહેવાર હોય કે રજાના દિવસો મોટા ભાગના લોકો પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વિતાવવા ઇચ્છતા હોય છે. નદી, તળાવ, દરિયા કિનારો કે ટેકરીઓ પર ટોળે ટોળાં ઊમટે છે, પરંતુ જે જગ્યા અને જે સૌંદર્ય જોઈને તેઓ અભિભૂત થાય છે, તેને તેઓ પરત જાય ત્યારે બદસૂરત કરી મૂકે છે.
ભુજનાં યુવક- યુવતીઓએ કર્યું અનોખું કામ
નિસર્ગ દેવતાની કરે છે પૂજા
લોકોની આવી ટેવ જોઈને ત્રાસેલા ભુજનાં યુવક- યુવતીઓએ નિસર્ગ દેવતાની અનોખી પૂજા કરવાનું વિચાર્યું અને સર્જાયું 'નિષ્ઠા ધૃતિ પ્રકૃતિ' ગ્રૂપ. સાતેક જેટલા યુવાઓએ રચેલા આ ગ્રૂપે પ્રકૃતિના ખોળે જે સ્થળોએ વધુ ને વધુ લોકો સમય વિતાવતા હોય તે સ્થળોએ સ્વચ્છતા કરવાનું શરૃ કર્યું. પ્રકૃતિ પ્રત્યે સમર્પિત એવા આ ગ્રૂપના માત્ર સાત દોસ્તોએ જાતે સફાઈ કરવી શરૃ કરી, પરંતુ પછી બીજા લોકોને પણ પોતાના અભિયાનમાં જોડવા માટે ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ અને ઇન્સ્ટાપેજ જેવા સોશિયલ મીડિયાનો સહારો લીધો.
20થી 25 વર્ષનાં યુવક- યુવતીઓનું ગ્રુપ કરે છે આ કામ
આ ગ્રૂપના મેમ્બર નિરલ ઠક્કરના જણાવ્યા મુજબ, 'અમારું ગ્રૂપ 20થી 25 વર્ષનાં યુવક- યુવતીઓનું છે. જેમાંના કોઈ અભ્યાસ કરે છે તો કોઈ નોકરી, પરંતુ બધા જ પ્રકૃતિને ચાહનારા છે. પ્લાસ્ટિકની થેલીઓ- બોટલો, તળાવમાં પધરાવાતી મૂર્તિઓ, નાળિયેર, ચૂંદડી વગેરેના કારણે પાણી અને પ્રકૃતિનો નાશ થાય છે. જો આપણે કુદરતને સાચવીશું, જાળવશું નહીં તો તે આપણને કઈ રીતે જાળવે? આથી જ અમે પ્રવાસીઓના માનીતા કુદરતી સોંદર્યના ધામોમાં સફાઈ કરવાનું વિચાર્યું. પહેલા તબક્કે માંડવી બીચ, ટપકેશ્વરી ટેકરી, ગંગેશ્વર અને હમીરસરની સફાઈ કરી છે. નજીકના ભવિષ્યમાં લોકોને પી.ઓ.પી.ની ગણપતિ કે અન્ય દેવી- દેવતાઓની મૂર્તિઓ ન લાવવા સમજાવશું. આમ છતાં જો કોઈ પી.ઓ.પી.ની મૂર્તિ લાવે તો તેને પધરાવવા માટે એક કૃત્રિમ તળાવ બનાવશું અને લોકોને તેમાં મૂર્તિ વિસર્જન કરવા કહીશું.'
હમીરસર તળાવમાંથી 700 કિલો કચરો કાઢવામાં આવ્યો
ભુજમાં સાતમ- આઠમનો મેળો હમીરસર તળાવના કાંઠે ભરાય છે. મેળા પહેલાં જ લગભગ 700 કિલો જેટલો કચરો આ ગ્રૂપે તળાવમાંથી કાઢ્યો હતો. મેળા પછી ફરી વખત તળાવમાં પાણીની જગ્યાએ કચરો જમા થયો છે. આ ગ્રૂપ દ્વારા ફરી વખત તેની સફાઈ કરવામાં આવે છે. નગરપાલિકા તેની હદમાં આવતા વિસ્તારમાંથી આ ગ્રૂપે એકઠો કરેલો કચરો લઈ જાય છે અને બીજા વિસ્તારમાંથી ગ્રૂપના સભ્યો પોતે જ કચરાને ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડે છે. જો લોકો પોતે જ ગમે ત્યાં કચરો ન ફેંકે તો પ્રાકૃતિક સૌંદર્યધામો દૂષિત ન થાય, આ બાબત લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ આ ગ્રૂપ પ્રયત્નશીલ છે.