અટલબ્રિજ ‘કમાઉ દીકરો’; 31 ઓગસ્ટથી 27 નવેમ્બર સુધીમાં કુલ 10.38 લાખથી વધુ લોકોએ અટલબ્રિજની મુલાકાત લઈને મોજ માણી, અત્યાર સુધી રૂ. 3.10 કરોડથી વધુની કમાણી
10,38,329 મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી
27 દિવસમાં રૂ. 89,76,280ની જંગી આવક
ઓક્ટોબરમાં ચાર લાખથી વધુ મુલાકાતીઓ ઊમટ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું તા. 28 ઓગસ્ટ 2022એ ઉદ્ઘાટન કરાયું હતું. અટલબ્રિજને તેના ઉદ્ઘાટન બાદ બે દિવસ માટે લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જોકે તે દરમિયાન પાન-મસાલાના અનેક વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ 31 ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે એટલે અટલબ્રિજની લટાર મારવા માટે હવે પુખ્ત વયના લોકો માટે રૂ. ૩૦ અને ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. ૧૫ એન્ટ્રી ફી રખાઈ છે. તમામ મુલાકાતીઓને અટલબ્રિજ માટે તંત્ર દ્વારા ૩૦ મિનિટ ફાળવાઈ છે, તેમ છતાં આ અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે.
અટલબ્રિજ ‘કમાઉ દીકરો'
એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે અત્યાર સુધીમાં અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજોરીમાં રૂ. 3.10 કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે આઇકોનિક અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં પ્રથમ એવા આ ફૂટઓવરબ્રિજનું વજન 2100 ટન છે અને તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ તેમજ ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. અટલબ્રિજની એન્ટ્રી ફી રૂ. ૩૦ હોવા છતાં અમદાવાદીઓએ તેને પહેલા દિવસથી એટલે કે 31 ઓગસ્ટથી ઊમળકાથી વધાવી લીધો છે. તે દિવસે 17,629 મુલાકાતીઓ અટલબ્રિજ નિહાળવા આવ્યા હતા. અમદાવાદીઓએ અટલબ્રિજને ભારે આવકાર આપ્યો હોઈ મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા તેને એક પણ દિવસ મેન્ટેનન્સ માટે બંધ રખાતો નથી. ૩૦૦ મીટર લાંબો અટલબ્રિજ સવારના નવથી રાતના નવ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રખાય છે, જોકે રાતના 8.30 વાગ્યાથી તંત્ર દ્વારા મુલાકાતીઓને પ્રવેશ અપાતો નથી.
10,38,329 મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી
તંત્ર દ્વારા અટલબ્રિજ અને ફ્લાવરપાર્ક એમ બંને જગ્યાની મુલાકાત લેવા માગતા હોય તેવા પુખ્ત વયના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60થી વધુ વયના વૃદ્ધો માટે રૂ. 20ની કોમ્બો ટિકિટ રખાઈ હોવાથી પણ અમદાવાદીઓમાં અટલબ્રિજ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. દિવ્યાંગોને તો મફતમાં પ્રવેશ અપાઈ રહ્યો હોઈ અનેક દિવ્યાંગો અટલબ્રિજની સહેલ માણવા આવી રહ્યા છે.
અમદાવાદીઓમાં અટલબ્રિજે ઘેલું લગાડ્યું હોવાની સાબિતી તંત્ર દ્વારા મુલાકાતીઓના અપાયેલા સત્તાવાર આંકડા પૂરી પાડે છે. 31 ઓગસ્ટથી 27 નવેમ્બર, 2022 સુધીમાં તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ કુલ 10,38,329 મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. આટલી જબ્બર સંખ્યામાં મુલાકાતીઓ નોંધાતાં મ્યુનિ. તિજોરીને પણ રૂ. 3,10,97,685ની મબલક આવક થઈ છે. આવકના આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો કમાઉ દીકરો બન્યો છે.
27 દિવસમાં રૂ. 89,76,280ની જંગી આવક
ચાલુ નવેમ્બર મહિનાના છેલ્લા 27 દિવસની આવકના આંકડાને તપાસતાં તંત્રને કુલ રૂ. 89,76,280ની જંગી આવક થઈ છે. દિવાળીના તહેવારો પતી ગયા બાદ પણ ત્રણ લાખથી વધુ એટલે કે 3,01,528 મુલાકાતીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી છે. આ મહિનામાં 6 નવેમ્બરે સૌથી વધુ 25,694 મુલાકાતીઓ નોંધાતાં તંત્રને સૌથી વધુ રૂ. 7,52,975ની આવક થઈ હતી, જ્યારે આવકની દૃષ્ટિએ તા. 16 નવેમ્બર નબળી પુરવાર થઈ હતી. તે દિવસે માંડ 5206 મુલાકાતીઓ આવતાં તંત્રને ફક્ત રૂ. 1,58,625ની આવક થઈ હતી, જોકે નવેમ્બર મહિનાના કુલ 27 દિવસ પૈકી 12 દિવસમાં 10 હજારથી વધુ મુલાકાતીઓ તંત્રના ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
ઓક્ટોબરમાં ચાર લાખથી વધુ મુલાકાતીઓ ઊમટ્યા
ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારો હોઈ અટલબ્રિજના મુલાકાતીઓની સંખ્યામાં નવો રેકોર્ડ નોંધાયો હતો. તે મહિનાની 28મી તારીખે તો અધધ એટલે કે 39,૦70 મુલાકાતીઓ ઊમટ્યા હતા અને તંત્રને રૂ. 12.09 લાખથી વધુ આવક થઈ હતી. સમગ્ર ઓક્ટોબર મહિનામાં કુલ 4,03,665 મુલાકાતીઓથી તંત્રને કુલ રૂ. 1,22,68,165ની જંગી આવક થઈ હતી.