ઉત્તર ભારતમાં વરસાદે આનંદ હણી લીધો છે અને હાહાકાર સર્જી દીધો છે. અસમ અને બિહારમાં અનેક લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે. પરંતુ માનવતા મોટી ચીજ છે. કુદરતની વિનાશલીલા વચ્ચે બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર તાલુકાના લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
મોડે મોડે પણ ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં છેલ્લાં બે દિવસથી કૃષિ માટે જીવનદાયી વરસાદ પડી રહ્યો છે પરંતુ ઉત્તર ભારતમાં વરસાદે આનંદ હણી લીધો છે અને હાહાકાર સર્જી દીધો છે. અસમ અને બિહારમાં અનેક લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે. પરંતુ માનવતા મોટી ચીજ છે. કુદરતની વિનાશલીલા વચ્ચે બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર તાલુકાના લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જોઈએ જળના તાંડવ વચ્ચે ઊમટેલા માણસાઈના પૂરનો આ અહેવાલ.
ગ્રામજનોએ નિભાવ્યો પાડોશી ધર્મઃ
કમર સુધી ભરાયેલા પાણીમાં માથા પર સામાન મૂકીને જઈ રહેલા આ લોકો બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર તાલુકાના હૈંઠી બાલી ગામના નાગરિકો છે. પ્રથમ નજરે તમને એવુ લાગી રહ્યું હશે કે, પૂરમાં ઘર ડુબાઈ જવાના કારણે આ લોકો સુરક્ષિત સ્થળ શોધવા માટે ક્યાંક જઈ રહ્યાં હશે અમને પણ એવું લાગ્યું હતું. પરંતુ જ્યારે લોકોને મળ્યાં તો કંઈક અલગ જ વાત સાંભળવા મળી. ચારે તરફ રેલાયેલા આ પૂરના પાણીમાં 3 કિલોમીટર પગપાળા ચાલીને આ લોકો પાડોશના ગામના લોકોની મદદ કરવા જઈ રહ્યાં હતાં. એવું નથી કે, આ લોકોના હૈંઠીબાલી ગામમાં પૂરના કારણે કોઈ નુકસાન નથી થયું! નુકસાન તો થયું છે પરંતુ તેમનું ગામ થોડી ઊંચાઈ પર હોવાના કારણે થોડું ઓછું નુકસાન થયું છે.
પરંતુ હૈંઠીબાલી ગામ પાસે જ વસેલા નરુઆર ગામ કમલા નદી પરનો બંધ તૂટી જવાના કારણે સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગયું હતું. બાજુમાં જ આવેલા ગામના લોકોને મુસીબતમાં મુકાયેલા જોઈને હૈંઠીબાલી ગામના લોકોએ પોતાના નાના મોટા નુકસાનની ચિંતા છોડીને નરુઆર ગામના લોકોની મદદ કરવાનું નક્કી કરી લીધું. દિલ્લી સહિત અન્ય શહેરોમાં વસનારા આ વિસ્તારના યુવાઓએ વોટસએપ અને પેટીએમ દ્વારા ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ શરૂ કરી.
યુવાઓએ ભંડોળ એકઠું કરી જરૂરિયાતમંદોને થયા મદદરૂપઃ
ફળ સ્વરૂપ એક જ દિવસમાં દાન સ્વરૂપે મળેલું ભંડોળનો આંકડો એક લાખ રૂપિયાને પાર કરી ગયો. તો આ તરફ ગામના કેટલાક લોકો સ્વયંસેવકોની ભૂમિકામાં આવી ગયા અને રાહતસામગ્રી તૈયાર કરવા લાગ્યા. જરૂરિયાતમંદો સુધી ખોરાક, પીવાના પાણીની બોટલો, મીણબત્તી, બાકસ, બિસ્કીટ અને દવાના પેકેટ તૈયાર કરવામાં આવ્યાં. મોટી બેગમાં રાહતસામગ્રી લઈને ગામના સ્વયં સેવકો 3 કિલોમીટર સુધી પાણીમાં પગપાળા ચાલીને નેશનલ હાઈવે નં-57 સુધી પહોંચ્યાં. જ્યાં નરુઆર અને ગોપલખા ગામના લોકોએ આશરો લીધો હતો.
સ્વયંસેવકો દ્વારા અહીં ભૂખથી તડપતા બાળકો અને અન્ય લોકોને ખોરાક અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી. પૂર પીડિતોની મદદનો આ ઘટનાક્રમ માત્ર એક દિવસ નહીં, અનેક દિવસ સુધી ચાલ્યો. સામાન્ય રીતે પૂર જેવી આપત્તિ વખતે લોકો ફક્ત પોતાની સુરક્ષા અંગે જ વિચારતા હોય છે. હૈંઠીબાલી ગામના લોકો પણ ઈચ્છત તો પોતાના ગામમાં થયેલા નુકસાનની ચિંતા કરીને બેસી ગયા હોત. પરંતુ પૂરથી તબાહ થયેલા પાડોશી ગામોની મદદ માટે આગળ આવીને આ લોકોએ દુનિયાને માત્ર ઈન્સાનિયતનો પાઠ જ નહીં પરંતુ બિહારિયતનો મતલબ પણ સમજાવ્યો છે.