દુનિયાના સૌથી અમિર ક્રિકેટર ભારતમાં, દુનિયાની સૌથી મોટી ટી-20 લીગ ભારતમાં, દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ ભારતમાં પરંતુ જો ભારતમાં પિચ ભીની થઈ જાય તો તેને સૂકવવા માટે હેયર ડ્રાયર અને પ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રીલંકા અને ભારત વચ્ચેની પહેલી ટી-20 મેચ દરમિયાન વરસાદથી મેદાન ભીનું થઈ ગયું અને તેને સૂકવવા માટે હેયર ડ્રાયર અને પ્રેસનો ઉપયોગ કરાયો.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T-20 વરસાદના લીધે રદ થઈ
પિચને હેર ડ્રાયર અને ઈસ્ત્રીથી સૂકાવવાનો પ્રયાસ કરાયો
ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી
ગુવાહાટી સ્ટેડિયમમાં મેદાન સૂકવવાની કોશિશ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જેમાં દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCIની ખૂબ મજાક ઉડી રહી છે. ફેન્સે કહ્યું કે, દુનિયાના સૌથી સારા બોર્ડ પાસે મેદાન ઢાંકવા માટે સારા કવર્સ પણ નથી.
Are you serious?? Using hair dryer and iron to dry the pitch?? Looks like world's richest cricket board @BCCI never heard of "Hover Cover" to dry the pitch. We are in the year 2020 for god's sake @SGanguly99. Please spare some fund @KirenRijiju ji 🙏 #INDvsSLpic.twitter.com/EN6z1vVPOs
ગુવાહાટીમાં ટી-20 મેચ રદ્દ થવાને કારણે ભારતના ઘણાં પૂર્વ ક્રિકેટરો નારાજ દેખાયા. વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, આટલા ઓછાં વરસાદમાં મેચ રદ થવી દુર્ભાગ્યપૂર્ણ છે. લક્ષ્મણ મુજબ, મેદાનકર્મીઓએ આ મેચ માટે સારી તૈયારી રાખવી જોઈતી હતી. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ ગ્રાઉન્ડ સ્ટાફની ભૂલ બતાવી.
ઉલ્લેખનીય છે કે ગુવાહાટીના બારસપરા સ્ટેડિયમમાં આ માત્ર ત્રીજી મેચ હતી અને તે પણ રદ્દ થઈ ગઈ. ગુવાહાટીમાં ટી-20 મેચ જોવા માટે હજારોની સંખ્યામાં દર્શકો આવ્યા હતા, પરંતુ તૈયારીઓ ન હોવાને કારણે મેદાન સૂકાવી ન શક્યા અને અંતમાં મેચ રદ્દ કરવી પડી. મેચમાં ટોસ થઈ ચૂક્યું હતું. જેને વિરાટે જીતીને પહેલાં બોલિંગ સિલેક્ટ કર્યું હતું. જોકે, ટોસ કર્યાના તરત બાદ વરસાદ આવવા લાગ્યો અને મેદાન એટલું ભીનું થઈ ગયું કે, તે સૂકાયું નહીં. ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાની સામે બીજી ટી-20 ઈન્દોરમાં 7 જાન્યુઆરી રમશે અને ત્રીજી ટી-20 પુણેમાં 10 જાન્યુઆરીએ રમાશે.