ભાવનગરઃ અષાઢ શુક્લની પૂર્ણિમાને ગુરૂ પુર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ કાર્યક્રમમાં જોડાયા છે. મંદિર દ્વારા પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
ગુરૂ આશ્રમ બગદાણા દ્વારા ભોજન પ્રસાદ માટેના રસોડા વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ કરવામાં પણ કોઈ સમસ્યા ન થાય તેના માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
બજરંગદાસ બાપાની કર્મભૂમિ એવા બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે. અહીં ગુરુવંદના ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોમાં દિવસ દરમ્યાન ૨ લાખથી પણ વધુ લોકો દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંથી બાપાના ભક્તો બગદાણા પહોંચ્યા
બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગુરુપૂર્ણિમા મહોત્સવને લઇને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંથી બાપાના ભક્તો આજે પોતાનું શીશ જુકાવવા બાપા સીતારામના નાદથી અહીં આવી પહોચ્યા છે. ભક્તિભાવભર્યા માહોલ વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરમાં રાજ્ય તેમજ અન્ય રાજ્યના લાખો ભક્તજન ગુરુમહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા છે.
અહીં સવારનાં સમયે ૫ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો છે. સવારના પાંચ વાગ્યે મંગલા આરતી બાદ સવારના ૬.૩૦ કલાકે ધ્વજાપૂજન અને સવારની આરતી ત્યારબાદ ૭.૦૦ કલાકે ગુરુમહીમા પૂજન જેમાં લાખો ભક્તો ગુરુપૂજનમાં જોડાયા હતા. અહીં અંદાજે ૨ લાખથી પણ વધારે લોકોની હાજરીને લઈને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે.
ભક્તજનોની સેવામાં 50 ૦૦૦ કરતા વધુ સ્વયં સેવકો
આ મહાપર્વમાં બે લાખ શ્રદ્ધાળુઓ બાપના દર્શને આવતા હોય છે. ત્યારે તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. અહીં આવતા ભક્તજનોની સેવામાં 50 ૦૦૦ કરતા વધુ સ્વયં સેવકો દ્વારા સેવા કરવામાં આવે છે. ભક્તો માટે મહાપ્રસાદમાં લાડુ ગાંઠીયા શાક રોટલી દાળભાતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 150 મણ લાડુ તેમજ 80 મણ ગાઠીયાની પ્રસાદી અને ૧૫ મણ મોહનથાળ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
અહીં ૫૦૦ મણનું શાકબકાલુ તેમજ ૨૫૦ મણ ચોખા અને ૧૫૦ મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રસોડા વિભાગના કામ માટે ૭૦ જેટલા ટ્રેક્ટર કામે લગાડ્યા છે. તેમજ દાળભાત અને શાક બનાવવા માટે મોટા તપેલામાં જગ્યા પર જ મોટા વાલ્વવાળા નાળચા દ્વારા દાળ અન્ય તપેલામાં લઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
નાયબ કલેકટર દ્વારા પોલીસ અને તંત્રને તૈનાત કરી દેવામાં આવ્યું
ભાવનગરના બગદાણા ખાતે આમ તો બાપાની તિથી અને ગુરુપૂર્ણિમાનાં દિવસે દેશ વિદેશનાં સેવકો દર્શનાર્થે આવે છે. બાપાના મંદિરમાં દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવ્યા હોઈ યાત્રાળુંને કોઈ અગવડતા ના સર્જાય અને કોઈ અનીશ્ચીયબનાવ ના બને તે માટે નાયબ કલેકટર દ્વારા પોલીસ અને તંત્રને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ દિવસે એક ફાયર ફાયટર અને ૧૦૮ એમ્બ્યુલસ ખડે પગે રહે છે.
આ ઉપરાંત એસ.ટી. વિભાગ ભાવનગર દ્વારા ૪૦ કરતા વધારે બસો ખાસ બગદાણા જવા આવવા માટે ફાળવવામાં આવી છે. સલામતી માટે પોલીસ તંત્ર દ્વારા મહિલા પોલીસ ટ્રાફિક પોલીસ પી.એસ.આઈ હોમગાર્ડ જવાન તેમજ બે વોચ ટાવર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવે છે. તેમજ એસટી દ્વારા પણ યાત્રાળુઓને મુસાફરીમાં અગવડતા ના પડે તે માટે વધારાની બસો ફાળવવામાં આવી છે.