અમેરિકા તથા ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે હોર્મોઝ જલડમરુમધ્યથી થઇને પસાર થતાં પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા વધારવાનો નિર્ણય કરેલ છે. ઓમાનની ખાડીમાં 2 યુદ્ધ જહાજો ખડકાયા બાદ ભારતીય નૌસેના હવે આ વિસ્તારમાંથી આવનારા તેલ ટેન્કર પર કેટલાક અધિકારીઓ તથા નાવિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પડાયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે માહોલ ગરમાયેલો છે.
એક અધિકારીએ શુક્રવારના રોજ કહ્યું હતું કે, દરેક ભારતીય ટેન્કર પર એક અધિકારી તથા 2 નાવિકને તૈનાત કરવામાં આવશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નિમણૂંક કરવામાં આવેલ આ લોકો સમુદ્રમાં માઇન્સ તથા અન્ય વિસ્ફોટકોની માહિતી પ્રાપ્ત કરવાની તથા એક સલાહકાર તરીકેની જવાબદારી નિભાવશે.
ડાયરેક્ટર ઓફ જનરલ શિપીંગ, ઇન્ડિયન ઓનર્સ સંગઠન તથા નેવી વચ્ચે શુક્રવારના રોજ એક ખાસ બેઠક ફારસની ખાડીના હાલ મામલે યોજાઇ હતી. આ બેઠકમાં છેલ્લા કેટલાક સમયગાળાથી થઇ રહેલ અમેરિકા તથા ઇરાન વચ્ચેના ઘર્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
શું બની હતી ઘટના
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાને અમેરિકી સેનાના ડ્રોનને તોડી પાડી સૌથી મોટી ભૂલ કરી છે. ગુરુવારે વોશિંગ્ટને કહ્યું કે ઇરાને તેના એક ડ્રોનને આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હોર્મુલ જળ સંધિ પાસે જમીનથી હવામાં મારી શકતી મિસાઇલથી ડ્રોન તોડી પાડ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે ધમકી
અમેરિકી રાષ્ટ્રપ્રમુખે તાજેતરમાં ટ્વિટર પર લખ્યું કે, 'ઇરાને ખુબ જ મોટી ભૂલ કરી નાંખી છે.' અમેરિકી રક્ષા મંત્રાલયના મુખ્યમથખ પેન્ટાગોને આ વાતની પુષ્ટી કરી છે કે ઇરાની સૈન્ય દળે અમેરિકી નેવીનું એક જાસુસી ડ્રોન તોડી પાડ્યું છે. સાથે એમ પણ કહ્યું કે એ આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હતું, ન ઇરાનના હવાઇ ક્ષેત્રમાં.