સુરેન્દ્રનગરમાં ગુજકોમાસોલ દ્વારા વઢવાણ APMC ખાતે ટેકાના ભાવે ખરીદેલા ચણાની ચૂકવણી ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
2 હજારથી વધુ ખેડૂતોને ગુજકોમાસોલે નાણાં ન ચૂકવતા ખેડૂતો પરેશાન
ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું કર્યું હતું વેચાણ
યાર્ડના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન મોહન પટેલ વ્હારે આવ્યાં
સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ખરીદેલા ચણાની ચૂકવણી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજકોમાસોલ દ્વારા વઢવાણ APMC ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી. જેમાં 2 હજાર કરતા વધારે ખેડૂતોએ ચણાનું વેચાણ કર્યું હતું. પરંતુ એક મહિનાથી વધુ સમય થવા છતાં ખેડૂતોને નાણાં ચૂકવાયા નથી. અનેક રજૂઆત બાદ પણ નાણાંની ચૂકવણી કરવામાં નથી આવી. ત્યારે હવે યાર્ડના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન મોહન પટેલ ખેડૂતોની વ્હારે આવ્યા છે.
ઝાલાવાડમાં ઘઉં, જીરું, મગફળી, કપાસ અને ચણાનું વાવેતરનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં
નાણાં ચૂકવવા વઢવાણ યાર્ડનાં ડિરેક્ટરોએ માંગ કરી છે. ઝાલાવાડમાં ઘઉં, જીરું, મગફળી, કપાસ અને ચણાનું વાવેતરનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે. યાર્ડમાં રેકોર્ડ બ્રેક ખરીદી પણ થઈ છે. પોષણક્ષમ ભાવે ના મળતા ટેકાના ભાવે ખરીદી થાય છે.
ગુજકોમાસોલે ખરીદી તો કરી પણ ખેડૂતોને નાણાં નથી ચૂકવ્યાં
જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ચણાની ખરીદી ટેકાના ભાવે થઇ હતી. ગુજકોમાસોલે ખરીદી તો કરી પણ ખેડૂતોને નાણાં નથી ચૂકવ્યાં. હવે ખેડૂતોને આગામી ખેતી માટે બિયારણ અને દવાઓ માટે નાણાંની ખાસ જરુર છે. ચણા વેચ્યાને ખેડૂતોને સવા મહિનો થઇ ગયો છે છતાં ગુજકોમાસોલ નાણાં ચૂકવવા ઠાગાઠૈયા કરે છે. ત્યારે ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ અને યાર્ડનાં ડિરેક્ટર વજુભા રાઠોડે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.