ગુજકોમસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહીં, પરંતુ સબસીડિ વધારવાનો નિર્ણય 24 કલાકમાં કરાશે
ગુજકોમાસોલનો મહત્વનો નિર્ણય
આવતીકાલ સુધી જૂના ભાવે જ ખાતર વેંચશે
ગુજકોમાસોલના ડેપોને અપાઈ સૂચના
ગુજકોમાસોલ દ્વારા ખાતરની કિંમતને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે. આવતીકાલ સુધી જૂના ભાવે જ ખાતરનું વેચાણ કરશે. ગુજકોમાસોલના ડેપોને આ અંગેની સૂચના પણ અપાઈ ચૂકી છે. અને ખાતરના નવા ભાવ અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવાશે. VTVએ પણ ખાતરના ભાવ ઘટાડવા સરકારને અપીલ કરી હતી.
દિલીપ સંઘાણીનું નિવેદન
રાજ્યમાં ખાતરના ભાવમાં વધારાને લઇ વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગુજકોમસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં ખાતરના ભાવમાં કોઇ વધારો નહીં કરવામાં આવે. 24 કલાકની અંદર સબસિડી વધારવા અંગેનો નિર્ણય કરશે. અને ખેડૂતોને પોસાય તે રીતે ખાતર વેચવાનું શરૂ કરાશે.
અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન
ખાતરના ભાવ વધારા અંગે અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે ખાતરમાં 58 ટકા ભાવ વધારો મરણતોલ છે. ચૂંટણીમાં સરકારે ભાવ વધારો નહીં કરવાનો દાવો કર્યો હતો. પરંતુ ચૂંટણી બાદ હવે ભાવ વધારો કરી દીધો છે. અને ચૂંટણી સમયે દાવા કરનાર કૃષિમંત્રી મોં છૂપાવી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચે.
રાજકોટમાં કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીના ઘર બહાર વિરોધ
રાજકોટમાં ખાતરના ભાવ વધારાનો વિરોધ થયો હતો. કિસાન સંઘના કાર્યકરો કૃષિ મંત્રીના ઘર બહાર પહોંચ્યા હતા. કૃષિ મંત્રી આર.સી. ફળદુને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસે આ મામલે 4 સભ્યની અટકાયત પણ કરી હતી. મંત્રીએ ફોન ન ઉપાડતા કિસાન સંઘ ઘરે રજૂઆત કરવા પહોંચ્યું હતું.