પાંચ સાત મંત્રી સિવાય બાકીના તમામ મંત્રીઑને કોઈ અનુભવ નથી, ત્યારે સરકાર અને આગામી ચૂંટણીમાં ભાજપ કઈ ફિરાકમાં?
ક્યારેય કલ્પના ન કરી હોય તેવું મંત્રીમંડળ
બે-ત્રણને બાદ કરતા તમામ નવા નિશાળીયા
નવા મંત્રીઓ 2022માં અપાવશે જીત?
આ છે ગુજરાતનું ઐતિહાસિક અને અત્યાર સુધી ક્યારેય ન જોયું હોય તેવું મંત્રીમંડળ.ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોના ઈતિહાસ પર નજર નાંખીએ તો આવું મંત્રીમંડળ ક્યારેય નહીં આવ્યું હોય..કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓએ પદ અને ગોપનીતિયાતાના શપથ લીધા.આ 10 મંત્રીઓમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, કિરિટસિંહ રાણા, પૂર્ણેશ મોદી સિવાય કોઈ કેબિનેટ મંત્રીને વહીવટી અનુભવ નથી.પાંચ મંત્રી સિવાય બાકીના પાંચ એકદમ કોરી સલેટ છે.સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી.ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જૂનસિંહ ચૌહાણ ક્યારેય સરકારમાં કોઈ પદ શોભાવ્યું નથી.અને સીધું તેમને કેબિનેટ જેવું મોટું મંત્રાલય અપાયું છે.તો રાજ્યકક્ષાનો જેમને સ્વતંત્ર હવાલો સોંપાયો છે તેવા પાંચ મંત્રીઓમાં એક પણ અનુભવી નથી.હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષા વકીલ એકદમ નવા છે.હા તેમની પાસે અનુભવ છે તો માત્ર ધારાસભ્યનો.પરંતુ સરકાર ચલાવવાનો કોઈ જ જ્ઞાન નથી.તેમ છતાં રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો તેમને સોંપી બહૂ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.હવે વાત કરીએ રાજ્યકક્ષાના મંત્રીની.તો તમામ નવ મંત્રી સાવ બિન અનુભવી છે.અને આમાંથી કેટલાક તો પહેલી જ વાર ધારાસભ્ય બન્યા છે.કિર્તિસિંહ વાઘેલા, દેવેન્દ્ર માલમ અને ગજેન્દ્રસિંહ પરમાર પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને સીધા મંત્રી બન્યા છે.
કોરી સલેટ મંત્રીઓ જ નહીં પરંતુ રાજ્યના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અનુભવ વગરના છે.જો કે તેમની પાસે અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં કામ કરવાનો અનુભવ છે.પરંતુ તેઓ પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા કંઈક નવું કરવા અને સરપ્રાઈઝ આપવા માટે જાણિતા છે.આ વખતનું મંત્રીમંડળ પણ સરપ્રાઈઝ છે.મુખ્યમંત્રી પણ સરપ્રાઈઝ છે.
સાવ અનુભવ વગરનું નવું મંત્રીમંડળ રાજ્યનું શાસન સંભાળશે તો એનો મતલબ એવો નથી કે તેઓ સારી રીતે શાસન નહીં કરી શકે.મજબૂત અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ વસ્તું અશક્ય નથી.કામ કરવાની નિષ્ઠા હોય તો સાવ નવા નિશાળીયા પણ ઈતિહાસ સર્જી શકે છે તેનો ઈતિહાસ સાક્ષી છે.પરંતુ હાલ જે પ્રકારે લોકોમાં ચર્ચા થઈ રહી છે તે મુજબ નવા નિશાળીયા પર પસંદગીનો કળશ ઢોળવાનું સૌથી મોટું કારણ એન્ટી ઈન્કમબન્સી છે.કોરોનાની બીજી લહેર વખતે જે રીતે રાજ્યના લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, અને ઈન્જેક્શનની તકલીફ પડી હતી તેના કારણે સરકારની છબી ખરડાઈ હતી.અને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ જ રોષ જોવા મળ્યો હતો.હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી.એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર અપાતી હતી.સ્મશાન ગૃહોમાં પણ અગ્નિસંસ્કાર માટે લાઈનો હતી.સ્મશાનની ભઠ્ઠીઓ 24 કલાક ધગધગતી હતી.હ્રદય કંપાવી દે તેવા દ્રશ્યો નજર સમક્ષ આવતા હતા.તો ક્યાંક સરકાર કોરોનાના આંકડા છૂપાવી રહી હોવાનો પણ આક્ષેપ થતો હતો.જેના કારણે સરકારની આબરુ ધૂળ ધાણી થઈ હતી
ભાજપ મોવડી મંડળે નવા અને બિનઅનુભવી ચહેરાઓ પર વિશ્વાસ મુકી તેમને રાજ્યની ધૂરાં સોંપી છે.હવે એ જોવાનું રહેશે કે થોડા સમયમાં નવું મંત્રીમંડળ કેવું પર્ફોમન્સ કરે છે?.અને 2022ની ચૂંટણીમાં તેઓ જનતા પાસે પોતાના કામનો શું હિસાબ લઈને જાય છે