માત્ર ભણવાનો મક્કમ ઈરાદો હોવો એ જ જરૂરી નથી. તમને કોઈ સક્ષમ સ્કૂલમાં પ્રવેશ પણ મળવો જરૂરી છે. પરંતુ દરેકનાં નસીબમાં સારી સ્કૂલોમાં પ્રવેશ મળવાનું લખ્યું નથી હોતું. અમદાવાદમાં દસમાં ધોરણમાં ભણતા દાસ વિવેકકુમાર નામનાં વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં નાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે. તે માટે તેણે અનેક અધિકારીનો સંપર્ક કર્યો પરંતુ તેને અંતે તો નિરાશા જ હાથ લાગી. જોઈએ શિક્ષણતંત્રમાં પ્રવેશવિધિની વરવી વાસ્તવિકતાનો આ અહેવાલ.
મનપસંદ સ્કૂલમાં પ્રવેશ મળે તો પછી સપનાની પાંખોને કેવી ઊડાણ મળે! પરંતુ દરેકનાં નસીબમાં પોતાની ક્ષમતા મુજબની અને પસંદગીની સ્કૂલમાં પ્રવેશ મેળવવાનું લખ્યું હોતું નથી. એનો તાજો દાખલો આ રહ્યો. હાથમાં ભલામણ પત્રને લઈને ઊભેલા આ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું નામ વિવેક દાસ છે. તેનાં પિતા કડિયાકામની મજૂરી કરે છે.
વિવેકદાસ નામનાં વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં બન્ને નાના ભાઈ-બહેનોને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે જેથી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ માટે તેણે સૌ પ્રથમ શાહીબાગ ખાતેની કેન્દ્રીય વિદ્યાલયનાં પ્રિન્સિપાલને પણ રજૂઆત કરી હતી. પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે એડમિશનનાં ચાન્સિસ ખૂબ ઓછા છે. ત્યાર બાદ આ નાનકડો વિદ્યાર્થી સચિવાલયમાં મુખ્યમંત્રીનાં પી.એ. એમ.કે. દાસને મળવા ગયો. વિદ્યાર્થીને એમ હતું કે, પોતાની સરનેમ દાસ છે અને સરની સરનેમ પણ દાસ છે તેથી થોડી મદદ મળી રહેશે પરંતુ અહીં તેની આશા ન ફળી. મનોજ કુમારદાસે તેને મળવાનો જ ઈન્કાર કરી દીધો.
જો કે તેમ છતાં તે હિંમત ન હાર્યો તેણે કલેક્ટરનાં ક્વોટામાંથી એડમિશન મળે તે માટેનાં પ્રયાસો આદર્યા. તે કલેક્ટરને પણ મળ્યો. જો કે કલેક્ટર પાસે બે વિદ્યાર્થીને એડમિશન અપાવવાની સત્તા હોય છે. કલેક્ટર તેને એડમિશન લેટર આપી શકે તેમ હતાં. તો પણ કલેક્ટરે તેને માત્ર ભલામણ પત્ર આપીને રવાના કરી દીધો. વિદ્યાર્થી આ ભલામણ પત્રને પ્રવેશ હુકમ સમજીને ફરી પાછો કેન્દ્રીય વિદ્યાલય ગયો. પરંતુ માત્ર ભલામણ પત્રનાં આધારે પ્રવેશ મળે નહીં તેવું કહીને કેન્દ્રીય વિદ્યાલયનાં સત્તાવાળાઓએ પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો.
જો કે, તેમ છતાં વિદ્યાર્થીએ આશા છોડી નહીં. તેણે હવે સીધે સીધાં મુખ્યમંત્રીને જ રજૂઆત કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે જ તે પ્રવેશ માટેની રજૂઆત કરવા ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી ગયો. આ સાથે તે કલેક્ટરનો ભલામણપત્ર અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનાં પીએ જી.કે.ગલાની સાહેબનો લેટર લઈને આવ્યો હતો. તેને એમ હતું કે, સીધે સીધાં શિક્ષણમંત્રીને મળવાથી પ્રવેશ મળી જશે. પરંતુ અહીં પણ શિક્ષણમંત્રીએ પોતાની મર્યાદા દેખાડી અને સીધેસીધું સંભળાવી દીધું કે એડમિશન મળી શકે તેમ નથી. પોતાનાં નાનકડા ભાઈઓને એડમિશન મળવાની આશા ધૂંધળી દેખાતાં વિવેકની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
કેન્દ્રીય વિદ્યાલયમાં આ ગરીબ બાળકનાં નાના ભાઈ-બહેનને પ્રવેશ મળી શકવાની શક્યતા હવે ખૂબ ઓછી રહી છે. કેમ કે, તંત્ર પોતાની સત્તાનાં ક્વોટાની મર્યાદા આંકી રહ્યું છે અને સરકાર પાસે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સમય નથી. આ એક વિદ્યાર્થીની વાત નથી. રાજ્યમાં આવાં તો અનેક વિદ્યાર્થીઓ છે કે જેમની ક્ષમતા તંત્રનાં નિયમોની આડમાં ખૂણામાં ક્યાંય ધકેલાઈ ગઈ છે. શું ગરીબ વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે નિયમોમાં કશી બાંધછોડ થઈ શકે તેમ નથી? બાકી, દેશનાં ઉગતા ભવિષ્યને પસંદગીની સ્કૂલમાં એડમિશન માટે ધક્કા ખાવા પડે તે સારી નિશાની નથી.