મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય સુખાકારીનાં કામ પણ આ આવકથી હાથ ધરાય છે. તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે સીલિંગ ઝુંબેશ સહિતની કાર્યવાહી કરાય છે. પરંતુ સામાન્ય લોકોની મિલકતને બાકી ટેક્સના મામલે તાળાં મારનાર તંત્ર સરકારી મિલકતો સામે લાલ આંખ કરી શકતું નથી. આનું ઉત્તમ ઉદાહરણ કાલુપુર રેલવે સ્ટેશનનું છે.
એરપોર્ટ ઓથોરિટીનો રૂ.19 કરોડનો ટેક્સ પણ ભરાયો નથી
મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.1400 કરોડનો ટેક્સ બાકી બોલે છે
30 વર્ષથી રૂ.9 કરોડનો પ્રોપર્ટી ટેકસ બાકી
24 કલાક પેસેન્જરથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનનો લગભગ 30 વર્ષથી રૂ.9 કરોડનો પ્રોપર્ટી ટેકસ બાકી છે. જોકે ગયા વર્ષે બીએસએનએલની ઓફિસને તાળાં મારનાર તંત્ર રેલવે સત્તાવાળાઓ સામે કડક પગલાં ભરશે કે કેમ તેવી ચર્ચા ઊઠી છે. આમ તો મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.1400 કરોડનો ટેક્સ બાકી બોલે છે, જેમાં બંધ મિલનો બાકી ટેકસ સૌથી વધુ છે.
મિલકતનો રૂ.18 કરોડથી વધુ ટેકસ મ્યુનિ. કોર્પોરેશનમાં બાકી બોલે છે
ઉપરાંત બીએસએનએલ, રેલવે, એરપોર્ટ ઓથોરિટીનો કરોડો રૂપિયાનો બાકી ટેક્સ હજુ સુધી ભરાયો નથી. રેલવેતંત્રની વાત કરીએ તો તેની શહેરમાં અંદાજે 500થી વધુ મિલકત છે. આ મિલકતનો રૂ.18 કરોડથી વધુ ટેકસ મ્યુનિ. કોર્પોરેશનમાં બાકી બોલે છે.કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત અમદાવાદની ડીઆરએમ ઓફિસનો રૂ.91 લાખથી વધુ, સાબરમતી રેલવે કોલોનીનો રૂ.76 લાખથી વધુ અને સાબરમતી રેલવે સ્ટેશન ઓફિસનો રૂ.61 લાખથી વધુ ટેકસ હજુ સુધી ભરાયો નથી.
બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીનો રૂ.19 કરોડનો ટેક્સ પણ ભરાયો નથી, જે મામલે ભારે ઊહાપોહ થતાં એરપોર્ટ ઓથોરિટીએ તાજેતરમાં રૂ.58 લાખનો ટેક્સ ભરપાઇ કર્યો છે. આ પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ મ્યુનિ. કોર્પોરેશનમાં રૂ.58 લાખ ચૂકવ્યા હતા. આમ, મ્યુનિ. કોર્પો.માં રૂ.1.16કરોડ ચૂકવાયા છે.