દસમી આવૃત્તિ હોવાના કારણે અપાયું છે હેરિટેજ મેરેથોન નામ
વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 5:30 વાગ્યે રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેરેથોનનો પ્રસ્થાન કરાવ્યું હતું. રમતગમત હર્ષ સંઘવીએ 42 કિ.મી.ની મેઇન ઇવેન્ટનું પ્રસ્થાન કરાવ્યું, જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 કિ.મી. દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઈન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખ નાગરિકોએ ભાગ લીધો છે. જે તમામ લોકોને રમતગમત હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી હતી. આ મેરેથોનની દસમી આવૃત્તિ હોવાના કારણે તેને હેરિટેજ મેરેથોન નામ આપવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ મેરેથોનના દોડવીરનો વધાર્યો ઉત્સાહ
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી સવારે સાડા પાંચ વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 42 કિ.મી.ની મેઇન ઇવેન્ટને લીલી ઝંડી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 કિ.મી. દોડને પ્રસ્થાન કરાવ્યું. આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે બે વર્ષ બાદ મેરેથોન યોજાઈ રહી છે. જેમાં 92,358 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ હેરિટેજ મેરેથોનમાં ફ્લેગ ઓફ કરાવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મેરેથોનમાં પાંચ કિમીની કેટેગરીમાં ભાગ લીધો અને મેરેથોનના દોડવીરનો ઉત્સાહ વધાર્યો.
ઇન્ટરનેશનલ મેરેથોનમાં 92,358 દોડવીરો ભાગ લેશે
આજની ઇન્ટરનેશનલ મેરેથોનમાં 92,358 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી 42 કિલોમીટરની કેટેગરીમાં 188, 21 કિલોમીટરની કેટેગરીમાં 1700 અને 10 કિલોમીટરની કેટેગરીમાં 4000 જેટલા દોડવીરો ભાગ લેશે.ત્રણ મુખ્ય કેટેગરીમાં 5700 જેટલા દોડવીરો ભાગ લેશે, જ્યારે બાકીના દોડવીરો પાંચ કિલોમીટર કેટેગરીની મેરેથોનમાં ભાગ લેશે. આપને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલાં યોજાયેલી મેરેથોનમાં 1.06 લાખ દોડવીરોએ ભાગ લીધો હતો.
300 ટ્રાફિક જવાનો તૈનાત
આ મેરેથોનમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની અગમચેતી રૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો તૈનાત રહેશે.