પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી સૂર મજબૂત બનતો જાય છે ત્યારે મોરબીની એક સિરામિક કંપનીએ 'પાકિસ્તાન મુર્દાબાદ' લખેલા પાકિસ્તાનના નેશનલ ફ્લેગના ડિઝાઇનવાળા વોશરૂમ ટાઇલ્સ બનાવ્યા છે. આ ટાઇલ્સ મોરબીનાં જાહેર શૌચાલયમાં લગાવવામાં આવશે.
મોરબીમાં ૪૭ જેટલાં જાહેર શૌચાલય છે. આ બધાંમાં યુરિનલ કમોડ જ્યાં ફિટ થાય છે એ જગ્યાએ બે ફૂટની પહોળાઇમાં આ ટાઇલ્સ ફિટ કરવામાં આવશે. તમામ શૌચાલયમાં આ ટાઇલ્સ ફ્રી આપવામાં આવશે અને તેનું ફિટિંગ કામ પણ સેક્શન સિરામિક્સ કરશે.
કંપનીના ડિરેક્ટર સુરેશ પટેલે જણાવ્યું કે આ માટે અમે ઓફિશિયલ પરમિશન લઇ લીધી છે. પરમિશન મળ્યા બાદ અમે ટાઇલ્સનું પ્રોડક્શન શરૂ કર્યું છે. મોરબીમાં આ ટાઇલ્સ અને તેનું ફિટિંગ-બંને ફ્રીમાં કરી આપવામાં આવશે. બીજા કોઇ શહેરમાં ભારતપ્રેમી લોકોને આ ટાઇલ્સ જોઇતા હશે તો નો પ્રોફિટ નો લોસના હિસાબે આપવામાં આવશે.
સુરેશ પટેલે એમ પણ જણાવ્યું કે અમારા ટાઇલ્સ પાકિસ્તાન પણ ઇમ્પોર્ટ થાય છે પરંતુ પુલવામાની ઘટના પછી અમે અમારા તમામ સપ્લાય કેન્સલ કરી દીધા છે. આવા આતંકવાદીઓના દેશ સાથે કામ ન કરવું જોઇએ. અમે તેમની પાસેથી કોઇ કમાણી કરવા ઇચ્છતા નથી. પાકિસ્તાન મુર્દાબાદ લખેલ આ ટાઇલ્સની સાઇઝ ૧x૧.૫ ફૂટ છે.