દાન તો ગુજરાતીઓના લોહીમાં વહે છે. આ કહેવત કંઈ એમ જ નથી પડી. ગુજરાતીઓએ ફરી એકવાર બતાવી દીધુ છે કે કોઈ નિરાધારની મદદ કરવાની હોય તો ગુજરાતીઓ ધારી લેતો દાનનો ધોધ વહાવી દે છે.
ધૈર્યરાજને હવે મળશે નવજીવન
ગુજરાતીઓએ વહાવી દીધો દાનનો ધોધ
VTVની મુફિમ લાવી રંગ
ઉલ્લેખનીય છે કે, SMA-1 પીડિત ધૈર્યરાજની સારવાર હવે શક્ય બનવા જઈ રહી છે. 16 કરોડના ઈન્જેક્શનની જરૂર હતી. નાનકડા માસુમ માટે આ રકમ ગુજરાતીઓએ પુરી કરી દીધી છે. ત્યારે હવે ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરી દવા મંગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
SMA-1 પીડિત ધૈર્યરાજની સારવાર બની શક્ય
દાન એટલે ગુજરાત...અને ગુજરાતીઓ એટલે દાન...આ કહેવું જરાય ખોટું નથી. વેપારી પ્રજા કહેવાતા ગુજરાતીઓ જો ધારી લે તો આકાશમાંથી તારા પણ તોડી લાવે છે. દાન કરવાની વાત હોય તો ગુજરાતીઓ હંમેશા આગળ હોય છે. દેશનું એવું કોઈ ધાર્મિક કે સામાજિક સ્થળ નહીં હોય જ્યાં ગુજરાતીઓનું દાન ન હોય. થોડા સમય પહેલા એક નાનકડું બાળક કે જેનું નામ ધૈર્યરાજસિંહ હતું. જે SMA-1 નામની ગંભીર બીમારીથી પીડિત હતો.
હવે આ બીમારીની જે દવા છે તેને વિદેશથી મંગાવી પડે. પરંતુ આ દવાનો જે ભાવ હતો તે પગ નીચેથી જમીન સરકાવી નાંખે તેવા હતા. એક ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા, અને તેમાં પાછો ટેક્સ લાગે એટલે તેની કિંમત 20 કરોડથી વધારે થઈ જતી હતી. હવે આટલી કિંમતની દવા કોઈ ગરીબ મા-બાપ કેવી રીતે મંગાવી શકે?. ધૈર્યરાજના પિતાની સ્થિતિ એટલી સારી ન હતી તે પોતાના દીકરા માટે આટલું મોટું ઈન્જેક્શન મંગાવી શકે.
વીટીવીએ ઉપાડ્યું હતું અભિયાન
પરંતુ ધૈર્યરાજસિંહને મદદ કરવાનું વીટીવીએ મન મનાવ્યું અને એક અભિયાન ઉપાડ્યું અને ધીરે ધીરે સોશિયલ મીડિયા પર આ અભિયાન વાયુ વેગે પ્રસરી ગયું. પછી તો આખું ગુજરાત જાણે ધૈર્યરાજને બચાવવા માટે દાન એકઠું કરવામાં લાગી ગયું. રોડ, રસ્તા પર લોકો દાન પેટીઓ લઈને ઉભા થઈ ગયા. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ મેચમાં પણ દાનપેટીઓ લઈને લોકો આવ્યા અને દાનવીર ગુજરાતીઓએ મનમુકીને દાન આપ્યું...દાનનો એવો ધોધ વહાવી દીધો કે 16 કરોડ થયાં ભેગા.
માનવતા મરી પરવારી નથી
ગુજરાતીઓના અપાર સ્નેહ અને આશીર્વાદથી હવે ધૈર્યરાજસિંહ માટે વિશ્વનું સૌથી મોઘું કહેવાતું ઈન્જેક્શન તેને મળી જશે. આ દાનથી ગુજરાતીઓએ સાબિત કરી દીધું કે હજુ પણ માનવતા મરી પરવારી નથી. કોઈ ગરીબ મા-બાપનું સંતાન ગરવા ગુજરાતમાં આર્થિક તંગીને કારણે ક્યારેય મોતને નહીં ભેટે. જે સૌથી મોટું સંકટ હતું તે આર્થિક સંકટ ધૈર્યરાજના પિતા પરથી ટળી ગયું છે. હવે આ રૂપિયાથી ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરી ઈન્જેક્શન મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. દવાનો ઓર્ડર આપ્યા બાદ 15 દિવસમાં દવા મળી જશે. પોતાના પુત્રને નવજીવન મળવા જઈ રહ્યું છે ત્યારે પિતાની આંખમાં હરખના આંસુ છે. તે ગુજરાતીઓનો આભાર માનતા થાકતા નથી...કહી રહ્યા છે કે હું કયા ભવે મારા વ્હાલા ગુજરાતીઓનું ઋણ ચુકવી શકીશ..
કોણ છે ધૈર્યરાજ?
આપને જણાવી દઈએ કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં પરિવારની ખુશી સમાતી ન હતી. પરંતુ ફુલ કોમળ જેવા આ નાનકડા બાળકના માતા-પિતાને એ ખબર ન હતી કે, બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે. બીમારીને થોડી જાણ થતાં માતા-પિતા નાનકડા ધૈર્યરાજને લઈ હોસ્પિટલમાં ચકાસણી કરાવવા ગયા. જ્યાં નિષ્ણાંત તબીબે કહ્યું કે, ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને SMA-1 તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે....બેસવામાં તકલીફ થાય છે...લાંબા ગાળા મૃત્યુ થાય છે...હવે આ બીમારીનું નિદાન થયા બાદ જ્યારે ધૈર્યરાજના પિતાએ સારવાર અંગે જાણકારી મેળવી તો તેઓ હચમચી ઉઠ્યા...કારણ કે આખા ભારતમાં આ બીમારીનો કોઈ ઈલાજ નથી...માત્ર અમેરિકામાં એક ઈન્જેક્શન મળે છે જેની કિંમત 16 કરોડ રૂપિયા છે..અને એક વર્ષમાં આ ઈન્જેક્શન બાળકનું આપવું પડશે તેવું ડૉક્ટરે કહ્યું....હવે આટલી મોટી રકમ લાવી ક્યાંથી તે પ્રશ્ન થઈ ગયો હતો...
હવે જ્યારે ઈન્જેક્શનની જે કિંમત છે તે સંપૂર્ણ એકઠી થઈ ગઈ છે. ત્યારે વહેલી તકે આ ઈન્જેક્શન આવી જાય અને ધૈર્યરાજને નવજીવન મળે તેવી આશા તમામ ગુજરાતીઓ સેવી રહ્યા છે.