પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉન અંગેની જાહેરાત કરાયા બાદ અનેક પ્રવાસીઓ અટવાયેલાં જોવા મળ્યાં છે. જેમાં ગુજરાતમાંથી બહાર દર્શને ગયેલા ઘણા યાત્રીઓ ફસાયાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હાલ હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ દ્વારા પરત મોકલવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ફસાયેલા યાત્રીઓ અંગે ઉત્તરાખંડની સરકાર સાથે વાતચીત કરી હતી.
હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફરશે
ઉત્તરાખંડ સરકાર ગુજરાતીઓ માટે કરશે વ્યવસ્થા
ત્રણ બસ મારફતે ગુજરાતીઓને પરત મોકલાશે
કોરોના વાયરસના કહેરના પગલે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે લોકડાઉન અગાઉ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરવા ગયેલા લોકો હાલમાં લોકડાઉનના કારણે ત્યાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. જો કે જે-તે રાજ્યના તંત્ર દ્વારા તેઓને પરત પોતાના રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાંથી હરિદ્વારમાં ફરવા ગયેલા યાત્રીઓ ત્યાં લોકડાઉનના કારણે ફસાઇ ગયા હતા. જો કે હાલ ઉત્તરાખંડની સરકાર દ્વારા ફસાયેલા ગુજરાતીઓને ગુજરાત પરત મોકલવાની તમામ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા હરિદ્વારમાં હાલ ફસાયેલા 135 જેટલા યાત્રાળુઓને બસ મારફતે ગુજરાત મોકલાશે. આ યાત્રિકો ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી હરિદ્વાર ગયા હતા. આ ફસાયેલા યાત્રીઓ મુખ્યત્વે સુરત, અમદાવાદ, વડોદરાના છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકાર સાથે આ અંગે વાતચીત કરી હતી. સુરત-અમદાવાદ-વડોદરના અંદાજે 135 જેટલા ગુજરાતીઓ પરત ફરશે. જો કે ફસાયેલા ગુજરાતીઓ માટે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલે પણ પ્રયત્ન કર્યાં હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેશોદના 70 જેટલા શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ચાલતી સપ્તાહમાં ભાગ લેવા ગયા હતા. જો કે લોકડાઉન કરવામાં આવતાં તેઓ ત્યાં ફસાઇ ગયા હતા. જો કે પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા ફસાયેલા શ્રધ્ધાળુઓને પરત લાવવા મદદ કરી હતી અને બે બસ દ્વારા તેઓ પરત લાવવામાં આવ્યાં હતા.