મોરબીના 42000 કરોડના સિરામિક ઉદ્યોગને કોઈકની નજર લાગી ગઈ છે. આ ઉદ્યોગને એક પછી એક ફટકો પડી રહ્યો છે. એક બાજુ સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગને ચિન સાથે સરખાવી રહી છે અને બીજી બાજુ 10 લાખ લોકોને રોજી આપતા આ જ ઉદ્યોગને એક પછી એક ફટકો આપી રહી છે.
ચીન પછી સિરામિકના ઉત્પાદનમાં મોરબી બીજા નંબરે
ઉત્પાદનમાં 30 ટકા સુધીનો ઘટાડો
4500 કરોડ ટેક્ષ વસુલે છે સરકાર સિરામિક ઉદ્યોગો પાસેથી
મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી આવવા પાછળ સરકારની બેવડી નીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કારણ કે, નિકાસની નીતિઓ બદલાઈ, નેચરલ ગેસ વાપરવાને નામે કરોડોનો દંડ ફટકારાયો, એટલુ જ નહીં પરંતુ સાડા ચારસોથી વધુનો ટેક્ષ ચુકવતા આ ઉદ્યોગોના વિકાસને બદલે સરકાર તેને ચારેય બાજુથી ભીંસમાં લેવા બેઠી છે જેને કારણે સર્જાયેલી કૃત્રિમ મંદી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો અને લોકોની દિવાળી બગાડશે.
ઉત્પાદનમાં 30 ટકા સુધીનો કાપ મૂકાયો
સિરામિક ઉદ્યોગમાં 30 ટકા સુધીનો કાપ મુકાયો છે. ટાઈલ્સ પ્રોડક્ટની માગમાં 35 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. મોરબીનો દેશમાં ટાઈલ્સ ઉત્પાદનમાં 90 ટકાનો હિસ્સો છે.
હાલ 5500ની જગ્યાએ 3,000 ટ્રક લોડિંગ માટે આવે છે. સિરામિકમાં મંદીની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ નડી રહી છે.
શું છે સાઉદી અરબના નવા રજિસ્ટ્રેશન
પ્રદુષણ નિયંત્રણના નિયમો બાદ હવે આયાતકાર દેશોના નવા નિયમોને કારણે ભીંસમાં છે. સાઉદીએ વેલીડ એક્સપોર્ટ્સનું સર્ટિફિકેટ ફરજિયાત કરતા મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં ખુબ જ ઓછા એકમો આ પ્રમાણપત્ર મેળવી શક્યા છે. આ સર્ટીફિકેટનો ખર્ચ રૂા. 18 લાખ જેટલો થાય છે.
મોરબી સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂા. 42,000 કરોડ
વિશ્વભરમાં સિરામિક ઉદ્યોગમાં મોરબી ચીન પછી બીજા નંબરે આવે છે. બ્રાઝિલ, આફ્રિકા, સાઉથ એશિયામાં મોરબીમાંથી નિકાસ થાય છે. વૈશ્વિક લેવલે મોરબી સિરામિક અબજોનું હુંડિયામણ ભારતમાં ઠાલવે છે.
400 કરોડનો દંડ ફટાકારાયો
વર્ષની શરૂઆતમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ કોલસા-ગેસિફાયર પર ચાલતા એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ભૂતકાળમાં કોલસા ગેસિફાયર્સનો ઉપયોગ કરવા બદલ દંડમાં રૂ. 400 કરોડ ફટકારવામાં આવ્યા પછી અને નેચરલ ગેસ પર કારખાના ફેરવવામાં આવ્યા બાદ આ ઉદ્યોગ હવે માંગમાં ઘટાડાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
ગેસ કંપનીઓને બખ્ખા
NGTના આદેશથી સિરામિક ઉદ્યોગની કમર ભાંગી ગઇ ચાલુ વર્ષની શરૂઆતમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કોલ ગેસિફાયરથી સંચાલિત તમામ સિરામિક એકમો બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે મોરબીના સિરામિક એકમો મજબૂર થઇ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નો ઉપયોગ કરવા તરફ વળવાની ફરજ પડી હતી. તેનાથી ગુજરાત ગેસ કંપની માટે ઉદ્યોગોને ગેસની સપ્લાય કરવાનો માર્ગ મોકળો કરાયો હતો.
દસ લાખ લોકોની દિવાળી બગડશે
સ્થાનિક અને પરપ્રાતિંય 4 લાખ મજૂરો અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા બીજા 6 લાખ લોકો એમ કુલ 10 લાખ લોકોને રોજગારી આપતા સિરામિક ઉદ્યોગ પ્રત્યે સરકાર ઉદાસીન કેમ છે તે એક મોટો પ્રશ્નો છે. એક તરફ સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગને ચિન સાથે સરખાવી રહી છે અને બીજી તરફ ગેસના ભાવ વધારીને એકમોની કમર ભાંગી રહી છે.
સરકાર કરોડોનો ટેક્ષ વસુલે છે સિરામિક ઉદ્યોગ પાસેથી
મોરબીના સિરામિક ઉદ્યોગ પાસેથી સરકાર 4500 કરોડ જેટલો જુદા જુદા પ્રકારનો ટેક્ષ વસુલે છે. આમ છતાં આ ઉદ્યોગની પ્રાથમિક જરિયાતો રસ્તા, પાણી, ટ્રાન્સપોર્ટ અને ગેસમાં કોઈ રાહત નથી. નેચરલ ગેસમાં કાયમ ભાવ વધારો કરીને કરોડોનો બોજો નાંખી દે છે.