દેશભરમાં કોરોના વાયરસ સામે યુદ્ધના ધોરણે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વધુ એક વેક્સિનને ભારત સરકારે મંજૂરી આપી છે. આ રસી બનાવનાર કંપની ગુજરાતી છે.
મહામારીમાં કોઈ ન કરી શક્યું તે ગુજરાતે કરી બતાવ્યું
વિશ્વની સૌપ્રથમ આવી વૅક્સિન તૈયાર
ZyCov-D રસીમાં પ્લાઝમિડ ડીએનએનો કરાયો છે ઉપયોગ
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આમ ભારતને 2 સ્વદેશી વેક્સિન મળી છે. ZyCov-D વેક્સિન નામની આ કોરોના રસી ડોઝ શરીરમાં પ્રવેશતા જ શરીરના કોષોને એક પ્રકારનો કોડ આપે છે, ત્યારબાદ વાયરસના બાહ્ય ભાગ જેવા સ્પાઇક એટલે કે ખાંચાઓ શરીરમાં બનવાનું શરૂ થશે, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને જોખમ માનશે અને એન્ટિબોડીઝ બનાવનું શરૂ કરી દેશે. આ રીતે એક સમય બાદ શરીર કોરોનાથી બચવા માટે તૈયાર થઈ જશે.
જાણો વિશ્વની આવી પહેલી વેક્સિન કેવી રીતે ?
ઝાયકોવ-ડી એ એક પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના જીનેટિક્સનાં આધારે વિકસાવવામાં આવી છે. આમાં વપરાતા જીનેટિક ડીએનએ અણુઓ પોતે ફેલાઈ શકતા નથી, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. વેક્સિન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમિડમાં કોડિંગ હોય છે જે શરીરને કોરોના જેવા સ્પાઇક પ્રોટીન બનાવવા માટે નિર્દેશ આપે છે. આમ ZyCov-D રસી વિશ્વની સૌપ્રથમ રસી છે જેમાં એક પ્લાઝમિડ ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
66.6 ટકા અસરકારક
ગત 1 જુલાઈના રોજ મંજૂરી માટે અરજી કરી હતી. આ અરજી 28 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલ અંતિમ તબક્કાના ટ્રાયલના આધારે કરવામાં આવી હતી. વેક્સિનની અસરકારકતા 66.6 ટકા સામે આવી છે. એવુ પણ કહેવામાં આવે છે કે, આ વેક્સિન 12થી 18 વર્ષના લોકો માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે.
ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક વેક્સિન
કોરોનાંની બીજી લહેરથી દેશભરમાં 50 સ્થળોએ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ડો.પંકજ પટેલ સમજાવે છે કે સેરો સર્વેક્ષણમાં તમામ સ્ટ્રેઇનમાં 99 ટકા તો ડેલ્ટા વેરિએન્ટના કેસ હતા. એવી અપેક્ષા છે કે આ રસી ડેલ્ટા વેરિઅન્ટ પર પણ કામ કરશે. રસીના ત્રીજા તબક્કાનું ટેસ્ટિંગ એપ્રિલ, મે અને જૂનમાં થયું હતું જ્યારે બીજી લહેર ટોચ પર હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે વેરિએન્ટ પ્રમાણે રસીમાં ફેરફારની સંભાવના પણ છે.
બાળકો પર પણ અસરકારક?
ઝાયકોવ-ડી રસીનું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં 28 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી, હજારો લોકો 12 થી 18 વર્ષની વયના હતા. ડિસેમ્બર 2020 માં, પહેલા અને બીજા તબક્કાના ના ટ્રાયલને ટાંકીને ઝાયડસ ગ્રુપના અધ્યક્ષ ડો.પંકજ આર પટેલે કહ્યું કે, રસી સલામત અને અસરકારક છે અને બાળકો પર પણ અસર કરી શકે છે.