ઉનાળો ભલે તેના અંતિમ પડાવ તરફ આગળ ધપી રહ્યો હોય પરંતુ પાણીની સમસ્યા એમ હળવી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના ખૂણે ખૂણેથી પાણીના પોકાર બળવત્તર બનતા જાય છે . પૂરતા જળસોર્સ ન હોય ત્યાં પાણીની તંગી ભરડો લઈ જાય. તે તો સમજ્યાં પરંતુ જ્યાં દેશની સૌથી મોટી નર્મદા અને કરજણ જેવી સિંચાઈ યોજનાઓ સ્થાપિત થઈ છે તેવા વિસ્તારની પાસે આવેલા વાઘઉંમર ગામમાં લોકોને ખાબોચિયાના જળ પર આધાર રાખવો પડે ત્યારે જળવ્યવસ્થાપનની પોકળતા ઊઘાડી પડી જાય છે. ત્યારે પાણીના બંધો પાસે નાગરિકોની કેવી તરસ છે અકબંધ જોઈએ આ અહેવામાં.
ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે વાગેલા ચૂંટણી પ્રચારના બ્યુગલ હવે શાંત થઈ ગયા છે. પ્રચાર શોર શાંત થયો ગયો છે એટલે હવે રાજ્યના અનેક વિસ્તારોમાંથી પાણીના પોકાર કાને પડવા લાગ્યા છે. રાજ્યના પાણીનીતંગીથી અસરગ્રસ્ત ગામડાઓમાં ટેન્કર વ્યવસ્થા ગોઠવાઈ ગયાના દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પરંતુ જ્યારે તમે બળબળતી બપોરે પનિહારીઓની આ લાંબીલચક હાર જોશો તો તમને એ ખ્યાલ આવતા વાર નહીં લાગે કે બધા દાવાઓ પોકળ છે. આ દ્રશ્યો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અતિપછાત વાઘઉંમર ગામના છે.
ચડતી ઉતરતી ડુંગરોની હારમાળા વચ્ચે દેખાતું આ ગામ જેટલું રળિયામણું લાગી રહ્યું છે તેટલી જ તેની કઠણાઈઓ ભયાનક છે. અહીં મહિલાઓને પાણી ભરવા માટે ત્રણ - ત્રણ કિલોમીટર દૂર સુધી પગપાળા જવું પડે છે. પાણીની વ્યવસ્થા કરવામાં જ દિવસ પસાર થઈ જાય છે.
ડેડિયાપાડા તાલુકાનું ઉંમરપાડા ગામ અંતરિયાળ તો છે જ પરંતુ બીજા વિસ્તારોની સરખામણીમાં અહીં કરજણ અને નર્મદા જેવી સિંચાઈ યોજનાઓ છે. પરંતુ તેમ છતાં નવાઈની વાત તો એ છે કે, અહીં ઉંમરપાડામાં જળસોર્સ ખૂબ તળિયે જતા રહ્યા છે.
ગામમાં પાણીના હેન્ડપંપ છે પરંતુ તેના જળસ્તર ઊંડા ઊતરી ગયા છે. પાણીની ટાંકી છે પરંતુ તેમાં ક્યારેય નર્મદાનું પાણી આવ્યું નથી. તમને નવાઈ લાગશે પરંતુ કુદરતી વાતાવરણમાં રહેતા લોકો હાલ પાણી માટે ઝઝૂમી રહ્યા છે. કેટલાય કિલોમીટરની રઝળપાટ બાદ પણ મહિલાઓને એક ખાબોચિયાના પાણી પર આધાર રાખવો પડે છે. આછા ડહોળા પાણીના એક ખાબોચિયા પાસે ઉંમરપાડા ગામની મહિલાઓનો આ જમાવડો પાણીની સમસ્યાનો ચિતાર રજૂ કરી રહ્યા છે. .ગામના લોકો સરકારની ઉપેક્ષાના કારણે દૂષિતપાણી પીવા મજબૂર બન્યા છે.
વળી આ દૂષિત પાણી ભરવામાં દરેક મહિલાનો ક્યારે વારો આવશે તે પણ કહેવું મુશ્કેલ છે. મહિલાઓની મુશ્કેલીનો અંત અહીં આવી જતો નથી. પાણી ભર્યા બાદ ઢાળ ચડતી ટેકરીઓ પર કેટલાય કિલોમીટર ચાલીને જવું પડે છે પરિણામે થાક લાગતા ઘણીવાર અધવચ્ચે જ બેસી જવું પડે છે અને આ તરફ તેમના બાળકો ઉંચા માળિયા પર બેસીને તેમની માતાઓની રાહ જોઈ રહ્યા હોય છે.
નવાઈની વાત એ છે કે અહીં બાજુમાં નર્મદા બંધમાં પુષ્કળ પાણી છે. પણ એ પાણી સ્થાનિક લોકોને મળતું નથી. છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી એ પાણી જાય છે. .પાણીની આ સમસ્યા અંગે સ્થાનિક આગેવાનોએ સરકારી તંત્રનું ઘણીવાર ધ્યાન દોર્યું છે. પરંતુ આજ સુધી ઉંમરપાડાના નાગરિકો માટે સરકાર સ્થાઈ વ્યવસ્થા તો દૂરની વાત પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી શક્યું નથી. આથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા આગામી 31 મી મેંના ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
હવે ચૂંટણીના પ્રચારશોર શાંત થઈ ગયા છે ત્યારે સરકારને જો હવે લોકોના પાણીના પોકાર સંભળાતા હોય તો વહેલી તકે આ તેમના સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાની જરૂર છે. કેમ કે, જનતા પાસે જવાનો આ જ તો સમય છે. કેમ કે પાછળ-પાછળ ચોમાસું આવી રહ્યું છે.