ગાંધીનગરઃ નર્મદા બેઝીનમાંથી પાણી છોડવા મુદ્દે મધ્યપ્રદેશ સરકારે ઈન્કાર કર્યો છે. ગુજરાતે ખારાશ અટકાવવા માટે મધ્યપ્રદેશ સરકારને રજૂઆત કરી હતી. પરંતુ મધ્યપ્રદેશે પાણી છોડવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 105.14 મીટરની સપાટી છે. તો 3078 ક્યુસેક પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો છે.
આ ડેમમાં મધ્યપ્રદેશના ડેમોમાંથી 2940 ક્યુસેક પાણીની આવક થઈ છે. IBPT ટનલમાંથી પણ 3208 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને નર્મદા કેનાલમાંથી પણ 2400 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેથી મધ્યપ્રદેશના તમામ ડેમોમાં હાલ પુરતું પાણી હોવા છતાં પણ મધ્યપ્રદેશ સરકારે પાણી આપવાનો ઈન્કાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નર્મદાના પાણીને લઇ અનેક સંકટો સેવાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતની માંગને મધ્યપ્રદેશ દ્વારા સ્વીકારવામાં ન આવતા ઉનાળો આકરો બની રહે તેવી સ્થિતિ પણ બની રહે તેવી શક્યતાઓ છે.
નર્મદાના નીર મામલે કોંગ્રેસે ભાજપ પર કર્યાં પ્રહાર
નર્મદા મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે ભાજપ સરકારે ચૂંટણી સમયે પાણી વેડફ્યું. જેના કારણે રાજ્યમાં પાણીની તંગી સર્જાઇ છે. ચાવડાએ જણાવ્યું કે સરકારે બોટાદ આજી ડેમ અને સી-પ્લેનમાં પાણી વેડફ્યું. અને અત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી હોવાથી ત્યાની ભાજપ સરકારે પણ ગુજરાતને પાણી આપવાની ના પાડી.