વિધાનસભા સત્રમાં મોરારી બાપુના નામે સસ્તા અનાજનો પુરવઠો મેળવવાના મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પાસે તેના પુરાવા તેમ જણાવ્યું હતું. તો ભાજપે પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
ગરીબ કે સામાન્ય માણસોના રેશન કાર્ડનો કે તેમના ઇલેક્ટ્રીક ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ થયો હોય એવું તમે વારંવાર સાંભળ્યું હશે. પરંતુ વિશ્વવિખ્યાત સંત તેમજ ભાજપના સાંસદની ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ કરીને સસ્તું અનાજ મેળવવામાં આવ્યું હોવાની ઘટનાને લઈ ગુજરાત વિધાનસભાનું ગૃહ ગુંજી ઉઠ્યું હતું. ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ થયાની ઘટના જૂની છે પરંતુ આજે આ મુદ્દો વિધાનસભામાં ખૂબ ગુંજ્યો હતો.
મોરારી બાપુના નામે રાશન લેવામાં આવે છેઃ આનંદ ચૌધરી
વિધાનસભા સત્રનો આજે આઠમો દિવસ છે. આઠમા દિવસે ગૃહમાં સસ્તા અનાજની દુકાનમાં થતા ભ્રષ્ટચારનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીએ ગૃહમાં સસ્તા અનાજની દુકાનમાં થતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળ્યો હતો. આ દરમિયાન આનંદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી કે, મોરારી બાપુના નામે પણ રાશન લેવામાં આવે છે. આ પ્રકારના અનેક લોકોના નામે રાશન લેવામાં આવી રહ્યુ છે.
મોરારી બાપુનો આ પ્રકારે ગૃહમાં ઉલ્લેખ યોગ્ય નહીંઃ જયેશ રાદડિયા
ત્યારે આ સમગ્ર મામલે મંત્રી જયેશ રાદડિયાએ વિપક્ષને આડે હાથે લીધું હતું. જેમાં તેમણે મોરારી બાપુનું નામ જોડીને ગુજરાતને બદનામ કરવાનો વિપક્ષે પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મોરારીબાપુનો આ પ્રકારે ગૃહમાં ઉલ્લેખ યોગ્ય ન હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત મોરારીબાપુ વિશ્વવિભૂતિ સંત છે અને આથી કોંગ્રેસે માફી માંગવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું. તો માર્ચ 2018માં આવી ઘટનાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનદાર સામે પગલાં ભરીને પરવાનો રદ કરાયો હતો. જો કે એકાદ વર્ષ પહેલાંની ઘટના, પગલાં પણ ભરાઈ ગયા અને હવે એ જૂની બાબતનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી.
હિન્દૂ સંતોને કોંગ્રેસ બદનામ કરી રહી છેઃ નીતિન પટેલ
મોરારી બાપુના નામને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલમાં રોષ જોવા મળ્યો છે. નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યને માફી માંગવા માટે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મોરારી બાપુ કે અન્ય સંતોના નામનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. સાથે જ તેમણે કહ્યુ કે, મોરારી બાપુના નામે રાશન લેવાયું હોય તો તેના પુરાવા રજૂ કરો.
કોંગ્રેસ પાસે પુરવા છેઃ પરેશ ધાનાણી
ત્યાર બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ કે, ઈલેક્ટ્રીક ફિંગર પ્રિન્ટનો દુરૂપયોગ કરીને જથ્થો ઉપાડવામાં આવે છે. મોરારી બાપુના નામે અનાજનો જથ્થો લેવામાં આવ્યો છે. સુરતના સાસંદ દર્શનાબેન જરદોષના નામે પણ અનાજ લેવાયું છે. રાજ્યમાં એક લાખ લોકોના નામે ખોટી રીતે અનાજ જથ્થો ઉપાડાયો હતો. આ ઘટનાના કોંગ્રેસ પાસે પુરાવા પણ છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નિવેદન પણ આપ્યું હતું કે ભાજપમાં ગરીબ માણસોનો પૂરવઠો બારોબાર વહેંચી દેવાયા છે, મોરારી બાપુના નામે રેશનકાર્ડ બન્યું છે જે બારકોડેડ કાર્ડ છે, મોરારી બાપુના સ્વજનોમાંથી કોઈ ગયું કે કે નહીં તેની તપાસ કરવાના બદલે ભાજપ સમગ્ર વાતને આડેપાટે લઇ જઇ રહ્યું છે.