ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઇ ગયું છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ બાદ ગૃહની કાર્યવાહી બુધવાર સુધી મુલતવી રહેશે.
આ પ્રસંગે રૂપાણીએ કહ્યુ હતુ કે "આપણે દિવ્ય ચેતના ધરાવતા નેતાને ગુમાવ્યા છે. અટલજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમની વિદાયથી ભારતીય રાજનીતિનો એક અધ્યાય પૂરો થયો છે." પ્રથમ દિવસની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ બુધવારે ફરી ગૃહ મળશે. બુધવારે વિધાનસભામાં છ જેટલા પ્રસ્તાવ પસાર થઈ શકે છે.
મળતી માહિતીનુસાર આ સત્રમાં વિપક્ષ મગફળીકાંડ ખેડૂતોના દેવા જમીન માપણીમાં ગેરરીતી સહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ ઘડી છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવને લઈને પણ હંગામો કરી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઇ શકે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એંધાણ આપી દીધા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે નિયમો પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત શક્ય નથી. જોકે બીજી તરફ કોંગ્રેસ સહિતના પક્ષોએ સરકારને ઘેરવાની નીતિ ઘડી લીધી છે.
આ બે દિવસીય સત્રમાં ચાર જેટલા સરકારી બિલ પર પણ ચર્ચા થશે. જેને પસાર કરાવવા સરકાર માટે એક મોટો પડકાર હશે.