અનલૉક-4 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. અનલૉક-4ની ગાઇડલાઇનમાં ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. દુકાનો પર હવે કોઇ પાબંધી નહીં.
ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમને મળશે મંજૂરી
શૈક્ષણિક અને કોચિંગ સંકુલ 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ
8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે
કોરોના સંકટના કારણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. તેવામાં હવે તબક્કાવાર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા છૂટછાટો આપવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્ય ગૃહ વિભાગે અનલૉક-4ને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તો ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખી શકાશે. 21 સપ્ટેમ્બર બાદ 50 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ માટે બોલાવી શકાશે. આ અંગે કેન્દ્ર સરકારના SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
તો 21 સપ્ટેમ્બરથી SOP અનુસાર કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત મંજૂરી લઇને શાળાએ જઇ શકશે. જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટને 21 સપ્ટેમ્બરથી નિયમોને આધીન શરૂ કરી શકાશે. ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.
દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે
રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, પબ્લિક ગાર્ડન પણ ખુલશે, ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમને મંજૂરી મળશે. તેની સાથોસાથ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લૉકડાઉન જાહેર કરી શકાશે નહીં.
લગ્નમાં 50 વ્યક્તિઓ અને અંતિમવિધિમાં 20 વ્યક્તિઓની મર્યાદા યથાવત્
સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન
લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી નહીં. 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખુલશે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને 50 ટકા કેપેસિટી સાથે મંજુરી મળી. સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે. ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું.