છોટુ વસાવાની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક થઈ છે તો બીજી તરફ છોટુ વસાવા AAP ના નેતા અને રણનીતિકારોને પણ મળતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો
નરેશ પટેલની સાથે વધુ એક રાજકીય અંડર ટેબલ ઓપરેશન
દિગ્ગ્જ આદિવાસી નેતા કોંગ્રેસ અને AAP નેતાના સંપર્કમાં
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને AAP એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે. નરેશ પટેલની જેમ વધુ એક દિગ્ગજ નેતાનું અંડર ટેબલ ઓપરેશન થઈ રહ્યું છે. ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાનું લોબિંગ કોંગ્રેસ અને AAP ના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે. છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને AAPના મોટા નેતાઓની બંધ બારણે બેઠક થઈ ચૂકી છે.
અમે ઇચ્છીએ કે છોટુભાઈ અમારી સાથે જોડાય : સુખરામ રાઠવા
વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ ચૂક્યા છે ત્યારે આદિવાસી અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું છોટુ વસાવાને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. સુખરામ રાઠવાએ વખાણ કરતાં કહ્યું કે છોટુભાઈ અમારા આદિવાસી નેતા છે. છોટુભાઈને કોંગ્રેસમાં સમાવવા કે નહિ તે મામલે અમારું મોવડી મંડળ લેશે. હાલ અમારી કોશિષ પણ છે અને અમે ઇચ્છીએ કે છોટુભાઈ અમારી સાથે જોડાય.
છોટુ વસાવા માટે AAPમાં લાલ જાજમ તૈયાર : AAP
BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાને AAP ના નેતા અને રણનીતિકારોને પણ મળ્યા છે. અને અંદરખાને મોટી બેઠક પણ કરી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીના નિવેદન મુજબ અમારી છોટુભાઈ વસાવા સાથે બેઠક થઇ છે અને AAPમાં લાલ જાજમ તૈયાર હોવાની પણ વાત કરી છે.
કોઈ પાર્ટી સાથે મર્જ નહી થાય BTP : છોટુ વસાવા
કોંગ્રેસ અને AAP સાથેના સંપર્ક મુદ્દે છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને વર્ષ 2022 ની ચૂંટણીને લઇ મૌન તોડતા કહ્યું છે કે BTP પોતાની રીતે ચૂંટણી લડશે કોઈની સાથે સમર્થન નહીં કરે AAP સાથે વાતચીત ચાલે છે, હજુ કઈ નક્કી નથી, ક્યાં પક્ષ સાથે ગઠબંધન કરવું તે નક્કી કરીશુ હાલ તો તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરીશુ. સાથે એ પણ ચોખ્ખું જણાવી દીધું છે કે કોઈ પાર્ટી સાથે BTP મર્જ નહી થાય, અમારા અધિકારની વાત કરશે તેની સાથે વાત કરીશુ.