લાંબા વિરામબાદ ફરી એકવાર રાજ્યમાં નવા ટ્રાફિકનિયમો લાગુ થઈ રહ્યા છે. સરકારે નાગરિકોને આપેલી મુદ્દત પૂરી થઈ ગઈ છે. 1 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં સુધારેલા ટ્રાફિક નિયમો લાગુ થઈ જશે.
1 નવેમ્બરથી ટ્રાફિક નિયમ બનશે અમલી
સરકારે આપેલી મુદ્દત થઇ પુરી
હવે નહીં મળે વધુ છૂટછાટ
દિવાળીની રજાઓમાં હાઈવે અને શહેરોના રોડ પર આડેધડ ડ્રાઈવિંગ કરનારાઓએ હવે પહેલી નવેમ્બરથી નિયમબદ્ધ રીતે પોતાનું વાહન ચલાવવાની ફરજ પડશે. ત્યારે આ નવા નિયમોના પાલન માટે લોકોએ ફરી એકવાર તૈયારી શરૂ કરી દીધી છે.
નવા ટ્રાફિક રુલ્સ લાદવામાં આવ્યા બાદ નાગરિકોમાં મચી અફરાતફરી
ગત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અચાનક જ નવા ટ્રાફિક રુલ્સ લાગુ પાડવામાં આવ્યા હતા. અચાનક નવા ટ્રાફિક રુલ્સ લાદવામાં આવતાં નાગરિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સરકારે લોકોને ઊંઘતા રાખીને લાદી દીધેલા કડક ટ્રાફિકનિયમોના કારણે વાહન સંબંધિત વિવિધ સેન્ટરો પર નાગરિકોની કતારોના દ્રશ્યો સર્જાયા હતા. નોટબંધી વખતે સર્જાયા હતા તેવા દ્રશ્યો એ દિવસોમાં જોવા મળ્યા હતા.
નાગરિકો અને ટ્રાફિક કર્મીઓ વચ્ચે થયું ઘર્ષણ
સામાન્ય નાગરિકો કામ-ધંધા મૂકીને ડ્રાઈવિંગ લાઈસન્સ,પીયુસી, હેલમેટ અને વ્હીકલ વીમાની વ્યવસ્થા કરવા વ્યસ્ત બન્યા છે. નાગરિકો આમ તો લાઈનમાં શિસ્તબદ્ધ ઊભેલા દેખાયા હતા. તેમના દિલ અને દિમાગમાં સરકારના આ નિયમ વિરુદ્ધ ઘમાસાણ ચાલી રહ્યુ હતું. નવા નિયમ લાગુ થયા બાદ અનેક જગ્યાએ નાગરિકો અન ટ્રાફિક કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
સરકારે નિયમના અમલીકરણમાં આપી છૂટછાટ
જો કે તે વખતે સરકારે લોકોના વિરોધ વચ્ચે સ્થિતિ પારખીને નવા ટ્રાફિક નિયમ પાલનમાં 15 દિવસની છૂટછાટ આપીને નાગરિકોના રોષને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે તે વખતે આપેલી 15 દિવસની છૂટછાટ આજે પૂરી થઈ રહી છે અને સરકાર હવે નાગરિકોના હિતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવા કટીબદ્ધ બની છે.
આવતીકાલથી અમલી બનશે નિયમ
1 નવેમ્બરથી વાહનચાલકો માટે નવા ટ્રાફિકનિયમોનું પાલન ફરજિયાત થઈ જશે. જેના માટે દંડથી બચવા અને સજ્જ થવા રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં લોકોની કતારો જામી છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહન સંબધિત વિવિધ કામગીરી માટે સવારથી જ લોકોની કતાર જામી ગઈ હતી.
RTO કચેરીએ લોકોની લાઇનો લાગી
તો આ તરફ સુરત આરટીઓ કચેરી પર વાહન ચાલકો કાચા-પાકા લાઈસન્સ માટે અને વાહનસંબધિત અન્ય કામગીરી પૂરી કરવા માટે કતારબદ્ધ જોવા મળ્યા હતા. સુરત આરટીઓ કચેરી પરની આ ભીડ લોકોમાં આવેલી જાગૃતિ તો દર્શાવી રહી છે સાથે સાથે નવા નિયમોથી દંડિત ન થવું પડે તેનો ડર પણ તેમને લાઈસન્સ અને પીયુસી કઢાવવાની પ્રક્રિયા માટે પ્રેરિત કરી રહ્યા છે. જોકે કર્મચારીઓની થોડી ઢીલ અને ઈન્ટરનેટની ધીમી પ્રક્રિયાને કારણે પ્રોસેસ પૂરી થવામાં ઘણો સમય લાગી રહ્યો છે. છતાં નાગરિકો ધીરજ પૂર્વક લાઈનમાં ઊભા રહ્યા છે. લાઈસન્સ અને પીયુસી જેવા ડોક્યુમેન્ટ માટે પોલીસકર્મચારીઓ પણ હવે સજ્જ બન્યા છે કેમકે કાયદો બધા માટે સરખો છે.
દુનિયાભરના વાહનોના 3 ટકા વાહનો ભારતમાં
આપને થશે કે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનથી થનારા રોડ અકસ્માત બાદ થતી જાનહાનિ રોકવા સરકાર આટલી સતર્ક કેમ થઈ ગઈ છે. પરંતુ તેના ઘણા કારણો છે આંતરરાષ્ટ્રીય સડક સંગઠના અનુસાર દુનિયાભરના વાહનોની કુલ સંખ્યાના ત્રણ ટકા વાહનો ભારતમાં છે. એક અંદાજ મુજબ ભારતમાં આતંકવાદ અને ઉગ્રવાદના કારણે જેટલા લોકો મોતને ભેટ છે તેના કરતાં માર્ગ અકસ્માતમાં વધારે લોકો મોતના મુખમાં ઘકેલાય છે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આંકડા મુજબ દેશમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે દોઢ લાખ નાગરિકો મૃત્યુ પામે છે. જેમાં 65 ટકા નાગરિકો 18થી 35 વર્ષ વચ્ચેના હોય છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોનો આધાર છીનવાઈ જાય છે અને જે જીવતા રહે છે તે કાયમી પંગુતા ભોગવે છે. અકસ્માતોમાં દેશને સકુશળ માનવધન ગુમાવવું પડે છે. મૃતકના પરિવારને વીમાની ચૂકણવણી કરવી પડે છે. અકસ્માતોમાં મોતના કારણે દેશને વાર્ષિક 20 અબજ ડોલરનું નુકસાન થાય છે. અકસ્માતથી થતાં મોતથી દેશની જીડીપી પર 3 ટકાનો બોજ પડે છે.
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા નાગરિકોને લઈને સરકારને ઘણી ચિંતા છે. તેને નિવારવા કાયદો જરૂરી હતો. પરંતુ હવે સવાલ તેના અમલીકરણની પદ્ધતિ પર છે. કેમ કે આખરેતો જનતા માટે નિયમો હોય છે. નિયમો માટે જનતા નથી હોતી