રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. કડકડતી ઠંડીથી હવે રાહત મળે તેની સહુ કોઈ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, જીરુનો પાક માવઠા અને ભેજવાળા હવામાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમાં રોગ આવી શકે છે.
28 જાન્યુઆરીએ પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 28મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોનું હવામાન પલટાશે અને વરસાદ પડવાની શક્યાતા છે. જોકે, આ દરમિયાન ભારે નહીં પરંતુ હળવો વરસાદ પડશે.
ક્યા ક્યા વિસ્તારમાં વરસાદ પડશે
હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. 28 જાન્યુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાતમાં હવામાન પલટાશે. તો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે. આ સમય દરમિયાન દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે ઠંડીમાં વધારો થશે.
આ વિસ્તારોમાં પડી શકે છે કડકડતી ઠંડી
હવામાન વિભાગે એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડી શકે છે.
માવઠાની શક્યતાને લઇ ખેડૂતોએ આટલી કાળજી રાખવી
જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.
બટાટાના પાકને આ રીતે બચાવી શકાશે
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી 5 મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.