દિલ્હીમાં રાજપથ ખાતે યોજાયેલાં 71માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના હજારો લોકો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતાં ટેબ્લો હોય છે. આ વખતે પણ દર વખતની જેમ વિવિધ થીમ પર બનેલાં ટેબ્લોએ લોકોના દિલ જીતી લીધા હતા. જેમાં ગુજરાતના આ ટેબ્લોએ ગુજરાતીઓની શાન વધારી હતી. આ ટેબ્લોની રોમાંચક તસવીરો જુઓ...
ગણતંત્ર દિવસની ઉજવણી
ગુજરાતની રાણકી વાવનો ટેબ્લો
ગુજરાતના ગૌરવ સમાન રાણકી વાવ
71માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉમંગ છે. ત્યારે આ વખતે પરેડમાં ગુજરાતની રાણકી વાવનો ટેબ્લો સામેલ કરવામાં આવ્યો હતો. સાથે ગુજરાતીઓના ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ગૌરવ સમાન રાણકી વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
ત્યારે સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણકી વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ મંદિર જેવી ભવ્ય છે. રાણકી વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહત્વ રહ્યું છે.
રાણકી વાવનો ઇતિહાસ
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.