ગુજરાતમાં થયેલા ભારે વરસાદને લઈને સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સહાયની જાહેરાત કરાયા બાદ વરસાદથી પ્રભાવિત 2,300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે.
રાજ્યમાં અતિવૃષ્ટિથી ગુજરાતના 4,000 ગામમાં સર્વે
રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું
સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય પેકેજ જાહેર કરાશે
તાજેતરમાં ગુજરાતના અનેક જિલ્લાઑમાં ત્રાટકેલા ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ઘૂસી જતા લોકોને ભારે નુક્સાની સહન કરવાનો વારો આવ્યો હતો. તેવામાં રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું હોવાથી વરસાદથી પ્રભાવિત રાજ્યના 2,300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે અને SDRFના ધારા-ધોરણ મુજબ સહાય ચૂકવાશે તેમ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
વરસાદથી પ્રભાવિત 2,300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ
મહત્વનું છે કે ભારે વરસાદને લઈને અનેક જિલ્લામાં પાકને મોટા પાયે નુક્સાન થયું છે. અતિવૃષ્ટિથી ગુજરાતના લગભગ 4,000 ગામમાં નુકસાન થયાનું સામે આવ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. તે અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત બાદ તંત્ર દ્વારા સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરુપે નર્મદા જિલ્લાના 547 ગામમાં સહાય માટે સર્વે કરવામાં આવશે. ભારે વરસાદને લઈને નર્મદા જિલ્લામાં કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયો છે આથી નર્મદા જિલ્લામાં ૨૦ જેટલી ટીમો સર્વે કામગીરી કરી રહી છે. અને 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
SDRFના ધારા-ધોરણ મુજબ સહાય ચુકવવામાં આવશે
બીજી તરફ છોટાઉદેપુરના 880 ગામોમાં તોફાની વરસાદે ખેદાન- મેદાન કરતા પાક નુકસાની થઇ છે. જેને લઈને 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત હોય અને 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. એ જ રીતે નવસારીમાં 387 ગામોમાં 9457 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. નવસારી જિલ્લામાં 70 ટિમ દ્વારા સર્વની કામગીરી હાથ ધરાઇ છે. નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં 830 હેકટર વિસ્તારમાંસર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. મહત્વનું છે કે પંચમહાલના 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે.
વલસાડ જિલ્લામાં 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન
આ ઉપરાંત સૂરત જિલ્લામાં 96 ગામમાં 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લાના 163 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન થતાં 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ છે. વધુમાં તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ છે. જિલ્લાના 430 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન પહોંચ્યું છે.
ડાંગના 310 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ
એ જ રીતે ડાંગ જિલ્લામાં નુકસાન થતાં 310 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. જેના 20,807 હેકટર વિસ્તારમાં સર્વ કરાયો છે અને જિલ્લાના 830 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન થયું છે તો ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને 48 ગામોમાં સર્વેની કામગીરી પુરી થઇ છે.