કહેવાય છે કે, શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. આ વાત ઈશ્વર આસ્થા સાથે વધારે જોડાયેલી છે. ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી હોય. ભલે આજે દરેક બાબત તર્કની એરણ પર ચકાસાઈ રહી હોય પરંતુ તેમ છતાં આજે પણ અનેક લોકો ઈશ્વર પર અપાર શ્રદ્ધા જોવા મળે છે.
માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દેવી દેવતાઓની મૂર્તિને પણ એવી રીતે શણગારે છે કે એ મૂર્તિ મનભાવન બની જાય છે. હાલ ગરીબો ભલે એક તોલું પણ સોનું ન ખરીદી શકતા હોય પરંતુ સુરતમાં ભવાની માતાની મૂર્તિને દોઢ કિલો સોનાથી શણગારવમાં આવી છે.
સુરતમાં આવેલું છે પૌરાણિક મંદિર
ભક્તજનોની ભાવના અને સોનાના શણગારથી શોભતા મા ભવાનીની આ મનોહર મૂર્તિ સુરતમાં અનેક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને દર્શનનું કેન્દ્ર બની છે. મા ભવાનીના આ મનોહર શૃંગારદર્શનનો લાભ સુરત શહેરના સલાબતપુરા આસપાસ વિસ્તારના શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. શહેરના સલાબતપુરા વિસ્તાર સ્થિત આવેલા મા ભવાની માતાનું આ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
માતાજીને કરાયો 1500 તોલા સોનાનો શણગાર
મંદિરની ઐતિહાસિકતાને પ્રમાણિત કરતી આ વાવ અને પ્રાચીન ધર્મગ્રંથોમાં તેનો ઉલ્લેખ શ્રદ્ધાળુઓની આસ્થા દ્રઢ કરે છે. હાલ આ મંદિરની સ્થાપના દિવની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે માતાજીની મૂર્તિને 1500 તોલા સોનાનો શણગાર કરવામાં આવ્યો છે. દાયકાઓ પહેલા સુરતના નવાબે માતાજીને અઢી કિલો સોનાનો મુગટ ચડાવ્યો હતો. વર્ષમાં એકવાર માણેક, પન્ના, નિલમ જેવા દુર્લભ નંગોથી જાડિત આ અનુપમ મુગટના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
સંતાનની પ્રાપ્તિ થાય તેવી શ્રદ્ધાળુઓમાં માન્યતા
મંદિરમાં આજે સોનાના દાગીનાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. નિસંતાન દંપતીઓ નવરાત્રી દરમિયાન અહીં દર્શનાર્થે આવે અને માતાજીનો પ્રસાદ ખાય તો તેમને સંતાનની પ્રાપ્તિ થાય તેવી શ્રદ્ધાળુઓમાં માન્યતા છે. સંતાન પ્રાપ્તિ બાદ અનેક શ્રદ્ધાળુઓ અઢી વર્ષ પછી સંતાનોની તસવીરો મંદિરમાં અર્પણ કરે છે. શ્રદ્ધાળુઓમાં ભવાની માતાના મંદિર પ્રત્યે અનેરી શ્રદ્ધા છે. અહીં આવીને નવી ઊર્જાનો અનુભવ કરે છે.
દેવી દેવતાઓ પરની આસ્થા અને વિશ્વાસ એ સારી બાબત છે. સાથે સાથે એ પણ જાગૃતિ રાખવી જરૂરી છે કે આપણી શ્રદ્ધા ક્યારેય અંધ શ્રદ્ધામાં ન બદલાઈ જાય. કેમકે આપણા ધાર્મિક સ્થળો પણ જ્ઞાનપ્રકાશ, ઊર્જા અને વિશ્વાસના પ્રતીક છે તે ન ભૂલવું જોઈએ.