'મંદિર મસ્જિદ ગીરજાઘરને બાટ લીયા ભગવાન કો..' ગુજરાતી સુફી સમાજના મુસ્લિમોએ માનવતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. દરેક ધર્મથી ઉપર માનવ ધર્મને રાખીને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય અને તે માટે કારસેવા યોજાય તો અમદાવાદના સૂફી પંથના મુસ્લિમો તેમાં સહકાર અને સાથ સહિત સેવા આપવા પણ જવાની તૈયારી બતાવી છે. વળી અયોધ્યામાં બનનારી મસ્જિદમાં થનારો તમામ ખર્ચ ઉપાડવાની પણ તૈયારી બતાવી છે.
અયોધ્યા મસ્જિદનો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર
ગુજરાતમાંથી સુન્ની વકફ બોર્ટને મોકલ્યો છે પ્રસ્તાવ
26મીએ સુન્ની વકફ બોર્ડ લેશે નિર્ણય
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં મુસ્લિમોને અલગ સ્થળે પાંચ એકર જમીન ફાળવવાનો જે આદેશ કર્યો છે ત્યાં ભવ્ય મસ્જિદ બનાવવાની જવાબદારી ગુજરાતના સૂફી પંથી મુસ્લિમોએ ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાંથી સુન્ની વકફ બોર્ડને મોકલ્યો છે પ્રસ્તાવ
ગુજરાતમાં શાખાઓ ધરાવતા મુહીબ્બાને એહલેબૈત ફાઉન્ડેશને સુન્ની વકફ બોર્ડને એવો પ્રસ્તાવ આપ્યો છે કે, જો તે આ પાંચ એકર જમીન સ્વીકારવાનો નિર્ણય કરે તો ગુજરાતના સૂફીઓ ત્યાં ભવ્ય મસ્જિદ બનાવવા તૈયાર છે, આનું મોડેલ પણ તૈયાર કરાયું છે અને તેનો સઘળો ખર્ચ પણ તેઓ ઉપાડવા તૈયાર છે.
26મીએ સુન્ની વકફ બોર્ડ લેશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો જે આદેશ કર્યો છે. તે અન્વયે આ જમીન મેળવવી કે નહીં તેનો નિર્ણય કરવા 26મીએ સુન્ની વકફ બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે, ગુજરાતના સૂફી પંથના તમામ લોકોએ સંગઠિત થઈ જો જમીન લેવાનો નિર્ણય થાય તો ત્યાં મસ્જિદ બનાવવા તેઓ તૈયાર હોવાનું જણાવ્યું છે.
ગુજરાતના સૂફી પંથના લોકો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર
આ મસ્જિદનો પ્લાન અને તેનું મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે. જેની સંપૂર્ણ વિગતો પણ વકફ બોર્ડને પહોંચાડાશે. આ માટે પાંચ લાખનો ખર્ચ થાય કે પાંચ કરોડનો, તે બધો ઉપાડવા તેઓ તૈયાર છે. આ મસ્જિદનું સંચાલન વકફ બોર્ડ પાસે રાખે તે માટે પણ તેઓ તૈયાર છે.
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય તેમાં પણ સેવા આપીશુ
મુહીબ્બાને એહલેબૈત ફાઉન્ડેશનના પ્રમુખ અને સૂફી અનવર હુસૈન શેખે જણાવ્યું હતું કે, અયોધ્યામાં કાયમી શાંતિ સ્થપાય અને દેશ ભરમાં કોમી એકતા અને એખલાસ જળવાઈ રહે તે હેતુથી સૂફી પંથ તરફથી મસ્જિદ બનાવવાનો વિચાર આવ્યો છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય અને તે માટે કારસેવા યોજાય તો તેઓ પણ તેમાં જોડાવા તૈયાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.