હવે ધોરણ 9 થી 12માં પણ પ્રાકૃતિક ખેતીના નવા વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ મામલે જીતુ વાઘાણીએ માહિતી આપી છે.
ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરાયો
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી જાણકારી
ધોરણ 9 થી 12માં પ્રાકૃતિક ખેતીનો વિષયનો થશે સમાવેશ
દેશભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ અગાળ આવે તે માટે સરકાર દ્વારા જબરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા સબસિડી સહિતની અનેક પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી કાળથી જ પ્રાકૃતિક ખેતી અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે અને વધુને વધુ લોકોનો પ્રાકૃતિક ખેતી તરફ ઝૂકાવ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે હવે ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીના નવા વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. અત્રે નોંધનિય છે કે, અત્યાર સુધી ધોરણ 9માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવ્યો હતો. હવે ધોરણ 9 થી 12મા પણ પ્રાકૃતિક ખેતીના વિષયનો સમાવેશ આગામી દિવસોમાં કરી દેવાંમાં આવશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓ માટે નિર્ણય
મહત્વનું છે કે, આજનો ખેડૂત ઉત્પાદન વધારવાની લ્હાયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરતો થયો હોવાથી જમીનની પવિત્રતા છીનવાઇ રહી છે. જેને પગલે રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આથી જમીનમાં પવિત્રતાના પ્રાણ પૂરવા સરકાર દ્વારા એક પછી એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓ માંટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી મળી રહેશે અને તેનાથી થનાર લાભ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થશે. જેથી ભવિષ્યના નાગરિકો એવા આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજીને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશે.
જીતુ વાઘાણીએ કર્યું ટ્વિટ
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીની માહિતી અને લાભ અંગે જણાવાશે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે
વઘાણીએ વધુ વિગત આપતા ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ નહિવત પ્રમાણમાં કરશે. જેના કારણે ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે. જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને તેમનું આરોગ્ય સુધરશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે તેમજ વિશાળ દ્રષ્ટિએ વિચારતા રાજ્યના નાગરિકોના હિતમાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી નીવડશે.
"ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય" શીર્ષક હેઠળ ઉમેરવામાં આવેલા આ પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ અને તેના પરિણામો, પ્રાકૃતિક ખેતી એટલે શું? તથા શા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં આપવામાં આવી છે.