ગુજરાતના માથે દેવાનો ભાર, રાજ્યનું દેવું 3 લાખ 963 કરોડ પહોંચ્યું, નાણાંમંત્રી કનુંદેસાઇએ કહ્યું વિકાસ કરવો હોય તો દેવુ કરવુ જરૂરી
રાજ્યના દેવા મુદ્દે ચર્ચા
વિકાસ કરવા દેવુ કરવુ પડે - કનુ દેસાઇ
ભાજપ હવે દેવા મુદ્દે ગર્વ કરે છે - ચાવડા
વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે જેને લઈગૃહથી કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધી રાજ્યનુ દેવુ 3 લાખ નવસો ત્રેસઠ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. આ દેવાના વ્યાજ પેટે હજારો કરોડોનુ વ્યાજ પણ ચૂકવવામાં આવ્યુ છે. જેમાં વર્ષ 2019-20માં સરકાર દ્વારા 20,293 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યુ હતુ, તેમજ 2020-21માં સરકારે 22,099 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂંકવાયા છે. આ સાથે એ પણ જાણવા મળ્યુ છે કે, 2019-20માં 16,701 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવવામાં આવ્યા હતા. તો 2020-21માં 17,918 કરોડ દેવાના મુદ્દલ તરીકે ચૂકવાયા હતા.
વિકાસ કરવા દેવુ કરવુ પડે: નાણાંમંત્રી કનું દેસાઇ
ગુજરાતમાં બજેટસત્ર દરમિયાન વિગતો સામે આવી છે કે, રાજ્યનુ દેવુ ત્રણ લાખ નવસો ત્રેંસઠ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. આ દેવાને લઈ વિધાનસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા પણ થઈ હતી. જેમાં સરકાર તરફથી નાણામંત્રી કનુ દેસાઈ નિવેદન કરતા કહ્યુ હતુ કે, રાજ્યનુ દેવુ 21.4 ટકા છે. જો રાજ્યનો વિકાસ કરવો હોય તો દેવુ કરવુ જરૂરી છે. તમામ રાજ્યો પર વિકાસ માટે દેવુ થતુ હોય છે.
ભાજપ હવે દેવા મુદ્દે ગર્વ કરે છે - ચાવડા
કનુ દેસાઈના આ નિવેદન પર કોંગ્રેસી ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, જ્યારે કોંગ્રેસના સમયમાં દેવુ થતુ હતુ ત્યારે તો મોંઢુ ચડાવતા હતા. પરંતુ હવે ભાજપ સરકાર દેવા મુદ્દે પણ ગર્વ લઈ રહી છે.
આપને જણાવી દઈયે કે, રાજ્ય સરકારના દેવાના ભાગ રૂપે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં અલગ અલગ સંસ્થાઓને વ્યાજ ચૂકવવામાં આવ્યા છે. જેમાં બજાર લોનનુ 7.85 ટકા વ્યાજ, NSSF લોનનુ 9.55 ટકા વ્યાજ ભરવામાં આવ્યુ છે તો કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોનનુ 2.99 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યુ છે.