ઈન્દોરમાં લાઈવ કોમેડી શોમાં મારામારી અને હંગામાની ઘટના સામે આવી છે. કોમેડિયનની સાથે ચારની ધરપકડ કરવામાં આવી છે.
કોમેડી શોમાં અભદ્ર ટિપ્પણી મુદ્દે હંગામો
ઈન્દોરમાં કોમેડિયનની થઈ ધરપકડ
કોર્ટે જામીન ન આપી અને પાંચ દિવસ કસ્ટડીમાં મોકલ્યા
શું છે ઘટના ?
લાઈવ કોમેડી શોમાં મારામારીની ઘટના સામે આવી રહી છે જ્યાં કોમેડિયન સામે હિન્દુ દેવી દેવતા સામે અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એકલવ્ય સિંહે લગાવ્યા આરોપ
ઈન્દોરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માલિની ગૌડના દીકરા એકલવ્ય સિંહે આરોપ લગાવ્યો કે ઈન્દોરમાં આયોજિત એક કોમેડી શોમાં હિન્દુ દેવી દેવતા અને અમિત શાહ પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
કેસ દાખલ કરવામાં આવ્યો
શહેરના અધિકારીઓએ કહ્યું કે જ્યાં કોમેડી શો ચાલી રહ્યો હતો ત્યાં અચાનક એકલવ્ય સિંહ દર્શકના રૂપે પહોંચ્યા હતા અને અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીઓ થાય બાદ જોરદાર હંગામો કરવામાં આવ્યો અને કાર્યક્રમને રોકી દેવાની ફરજ પડી જે બાદ તુકોગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મુનવ્વર ફારુકીની ધરપકડ
પોલીસ સ્ટેશનના કમલેશ શર્માએ કહ્યું કે ગુજરાતના જૂનાગઢના હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકિ અને ચાર લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પાંચેય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. એકલવ્ય સિંહે કહ્યું કે હું અને મારા સાથી ટિકિટ લઈને જ કોમેડી શો જોવા ગયા હતા પણ ત્યાં હિન્દુ દેવી દેવતાનું મજાક ઉડાવવામાં આવ્યું, સાથે સાથે ગોધરા કાંડ અને અમિત શાહ સામે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
ભાજપ ધારાસભ્યના દીકરાએ પોતાના પર લાગતાં આરોપો નકાર્યા
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ કાર્યક્રમમાં જોરદાર હંગામો થયો હતો અને કોમેડિયનને બરાબરનો મારવામાં આવ્યો હતો, જોકે ભાજપ ધારાસભ્યના દીકરા કહી રહ્યા છે કે એવું કશું નથી થયું. શનિવારે જ પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જે બાદ તેમને 13 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.