ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રાજ્યના સુરત શહેરમાં મોટી સંખ્યામાં બીજા જિલ્લામાંથી કામ કરવા આવેલા ગુજરાતીઓને પોતાના વતનમાં મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં સુરત શહેરમાં સતત એસટી બસો દ્વારા સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં રત્નકલાકારો સહિત લોકોને મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતનમાં જતા એકસ્ટ્રા બસો દોડાવાઈ
સૌરાષ્ટ્રમાં જવા માટે ST વિભાગ દ્વારા દોડાવાઈ રહી છે બસ
અત્યાર સુધીમાં 4225 બસ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં મોકલાઈ
લોકડાઉન દરમિયાન સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો માટે એસટી વિભાગ દ્વારા બસ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે લોકોની સંખ્યા વધતા ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાઈ રહી છે.
સુરતમાંથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં અત્યાર સુધીમાં 4225 બસ મોકલાઈ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2072 બસ રવાના થઈ છે. ST વિભાગે એક જ દિવસમાં 910થી વધુ બસો ઓપરેટ કરી છે. લોકોને વતન પહોંચાડવાં માટે ST વિભાગના કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે.