ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરનાનું સંક્રમણ ન વધે અને તાત્કાલિક સારવાર મળે તે માટે ST વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જો કે હવે આ આયોજનના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
ST બસમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
રેપિડ ટેસ્ટિંગ શરૂ કરાતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો
રેપિડ ટેસ્ટિંગ થતા મુસાફરોમાં જોવા મળી રહ્યો છે ડર
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ST વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ST બસ સ્ટેન્ડ પર રેપિડ ટેસ્ટ કરાતાં મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે મુસાફરોએ ST બસમાં મુસાફરી કરવાનું ટાળ્યું છે. હાલમાં મોટા ભાગની ST બસ ખાલી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે AMCએ STના મુસાફરોને લઇને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં ST બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે બસ સ્ટેન્ડ પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.
AMC દ્વારા ST બસ સ્ટોપ પર મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોરોનાના સંક્રમણને અટકાવવા તમામ મુસાફરોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST બસ સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બહારથી આવતા કે જતા કોઇ મુસાફર સંક્રમિત હશે તો તરત જ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે.