રાજ્યમાં પ્રથમવાર ઝીરો પોઇન્ટ જવા બસ સેવા ચાલુ કરાઈ છે. બનાસકાંઠામાં ભાભરથી નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો પોઈન્ટ સુધી ST બસ સેવાનો આજથી શુભારંભ કરાયો છે.
ભાભરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધી ST બસ સેવાનો પ્રારંભ
શનિ, રવિવારે વાયા નડાબેડથી ઝીરો પોઈન્ટ જશે
માત્ર રૂપીયા 43માં મુસાફરી કરી શકાશે
બનાસકાંઠાના ભાભરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધીની ST બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે ભાભરથી દર શનિ-રવિવાર સવારે 10 કલાકે ઉપડશે. માત્ર 43 રૂપિયામાં લોકો મુસાફરી કરી શકાશે. આ બસ નડાબેટથી ઝીરો પોઇન્ટ જશે. તો બસ સેવાનો પ્રારંભ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીલી ઝંડી આપીને કર્યો છે.
લોકો બોર્ડર પર અવારનવાર જશે તો જવાનોનું મનોબળ વધશેઃ ગેનીબેન ઠાકોર
નવા શરૂ કરાયેલ રૂટમાં MLA ગેનીબેન ઠાકોરે મુસાફરી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગેનીબેને કહ્યું કે, આ બસ શરૂ થતા મુસાફરો માતાજી નડેશ્વરી માતાના દર્શન કરશે બાદમાં બોર્ડરના સૈનિકો સાથે સમય પસાર કરી શકશે. જવાનોને લોકો અવાનનવાર મળતા રહે જેનાથી તેમનું મનોબળ વધે અને નવી પેઢીને સેનામાં જવાની પ્રેરણા જાગે તે હેતુથી આ બસ સેવા શરૂ કરાઈ. જો આ સેવામાં કોઈ તકલીફ પડે તો અમને જાણ કરજો. સૌ લોકો આ બસ સેવાનો લાભ લે તેવી અપીલ કરું છું. સાથો સાથ ST નિગમ અને સરકાર સહિત તમામનો આભાર વ્યક્ત કરું છું. 43 રૂપિયાના ટુંકા ભાડાથી આ બસ સેવા શરૂ રહેશે.
મહત્વનું છે કે, બોર્ડરની રક્ષા કરતા સેનાના જવાનો સાથે રાજ્યના લોકો સમય વિતાવી શકે અને નડેશ્વરી માતાજીના દર્શન કરી શકે તે માટે આ બસ સેવાને શરૂ કરવામાં આવી છે.