ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે જાહેર કરાયેલાં લોકડાઉન દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં બંધ કરવામાં આવેલા ST બસના રૂટને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. Unlock-4ની ગાઇડલાઇન મુજબ હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 5 મહિના બાદ ST બસનું સંચાલન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં ST નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય
ગામડાઓમાં ST બસનું સંચાલન શરૂ થશે
5 મહિના બાદ હવે ગામડાઓમાં દોડશે બસો
કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉન બાદ જાહેર કરાયેલ ગાઇડલાઇનને ધ્યાનમાં લઇને રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર ST બસોનું આવન-જાવન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા આંતરિક જિલ્લામાં બસ સેવા શરૂ કરાઇ હતી. ત્યારબાદ સરકાર દ્વારા એક-બીજા જિલ્લામાંના મુખ્યમથક વચ્ચે ST બસ સેવાની શરૂઆત થઇ હતી.
જો કે હવે રાજ્યમાં ST નિગમ દ્વારા ગામડાઓમાં બસનું સંચાલન કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 5 મહિના બાદ હવે ગામડાઓમાં બસો શરૂ કરવામાં આવશે. આ અંગેની ST નિગમની ઓફિસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ST નિગમના સચિવ કે. ડી. દેસાઇએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે ગામડામાં જતી બસના કંડકટરને થર્મલ ગન આપવામાં આવશે. આ સાથે દરેક પેસેન્જરોનો થર્મલ સ્ક્રિનિંગ બાદ પ્રવેશ કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં બસ સેવાને લઇને દેસાઇએ જણાવ્યું કે 80 થી 85 ટકા સંચાલન શૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 23,500 બસોનું સંચાલન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મુસાફરોમાં સરકારી ગાઇડલાઇના અમલને લઇને સૂચના આપવામાં આવી છે.