ઋષિ ભારતીબાપુએ કોળી સમાજના સંમેલનમાં કહ્યું કે કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ
ભારતીબાપુ આશ્રમના મહંતનું નિવેદન
કોળી સમાજના સંમેલનમાં રાજકીય નિવેદન
"CMનો ચહેરો કોળી સમાજનો હોવો જોઇએ"
રાજયમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજયમાં બહુમત સમાજ સંમેલનો, સન્માન સમારોહ જેવા બેનરો નીચે કાર્યક્રમો કરી રાજકિય પક્ષો પાસે ઘણી અપેક્ષાઓ સાથે શક્તિ પ્રદર્શન કરવામા આવે છે.
કોળી સમાજના રાજ્યનો સૌથી મોટો સમાજ છેઃ ઋષિ ભારતીબાપુ
ત્યારે આજે બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં કોળી સમાજના આગેવાનો ઉપરાંત ભારતીબાપુ આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ પણ વિશેષ હાજરી આપી હતી. સંમલેનમાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ. કારણ કે રાજ્યનો સૌથી મોટો સમાજ છે. અને વિધાનસભાની અડધી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઇ રહ્યો છે. તેથી હવે સમાજને સંગઠિત થઇ તાકાત બતાવવાનો સમય આવ્યો છે.
ક્યા જિલ્લામાં કેટલો કોળી સમાજ?
જિલ્લો કોળી સમાજની વસતી
ભાવનગર 18%
સુરેન્દ્રનગર 15%
જૂનાગઢ 11%
અમરેલી 12%
પોરબંદર 11%
નવસારી 10%
વલસાડ 08%
ભરૂચ 07%
કઈ બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. જેના લીધે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહ્યા છે. ગુજરાતમાં આજે સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો રહેલી છે જયાં ૪૦ હજારથી વધુ કોળી મતદારો રહેલા છે. કોળી મતદારો આજેય પણ જયાં ઢળે ત્યાં મતોના ઢગલા કરી નાખે છે.