કેન્દ્ર સરકારે પ્રવાસનને વેગ આપવા માટે પાલિતાણા પાસે આવેલા શેત્રુંજ્ય ડેમ પર શક્યતા તપાસવાનું શરૂ કર્યું છે. પ્રવાસન વિભાગ અહીં સી પ્લેન ઉતારવા માટે વોટર એરોડ્રામ બનાવવા માગે છે. જેના માટે એક તરફ જ્યાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઈ રહ્યો છે તો બીજી તરફ આ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. તો વોટર એરોડ્રામ પ્રોજેક્ટ સામે ખેડૂતોને શાનો સતાવે છે ડર. જોઈએ આ અહેવાલમાં.
વોટર એરોડ્રામ બનાવવા વિચારણા કરી રહી છે સરકાર
રાજય અને કેન્દ્ર સરકાર ગુજરાતમાં પ્રવાસના વિકાસ માટે વોટર એરોડ્રામ બનાવવા વિચારણા કરી રહી છે. આ માટે સરકારના એવિયેશન વિભાગે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ એવા શેત્રુંજી ડેમ પર નજર દોડાવી છે. એવિયેશન વિભાગને આ માટે બેથી એઢીએકર જમીનની જરૂર છે.
આ માટે ભાવનગર જિલ્લા કાર્યપાલક ઈજનેર અને સંબંધિત વિભાગે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. જિલ્લા વહીવટી તંત્રએ વોટર એરોડ્રામ માટે શેત્રુંજી ડેમના જમણાકાંઠા પર પસંદગી ઊતારી છે.
શેત્રુંજી ડેમ જૈન મુનિઓએ બનાવેલો તેવી માન્યતા
ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમમાંથી ભાવનગર, ગારિયાયધાર, સિહોર અને તળાજા જેવા શહેરોને પીવાનું પાણી તેમજ ભાવનગર જિલ્લા ગ્રામ્ય પંથકોમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. વળી આ ડેમ જૈનોની નગરી પાલીતાણા માં આવેલો છે. જૈન સંપ્રદાયમાં એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે શેત્રુંજી ડેમ જૈન મુનિઓએ બનાવેલો હતો. હવે જ્યારે સરકાર આ ડેમના જળસ્તર પર વોટર એરોડ્રામ વિકસવવા જઈ રહી છે ત્યારે આજુબાજુના ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.
સરકારના નિર્ણય સામે ખેડૂતોમાં રોષ
શેત્રુંજી ડેમના પાણી પર સિંચાઈનો આધાર રાખતા ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે, સરકાર ખેતીના ભોગે પ્રવાસનને વિકસાવવાનું કામ કરી રહી છે. ખેડૂતોને એવો ભય પણ સતાવે છે કે, સી પ્લેન ઉતારવા માટે વોટરનો ડેડ સ્ટોક રાખવો જેના કારણે ખેડૂતોને સિંચાઈમાં મળતા પાણી પર કાપ મૂકાશે.
આપને જણાવી દઇએ કે, જેના પર સીપ્લેન ઉતારવાનું આયોજન વિચારાઈ રહ્યુ છે. તે આ સિંચાઈ માટેના શેત્રુંજી ડેમનું 1955માં ખાતમુહૂર્ત થયું હતું. શેત્રુંજી ડેમનો સ્ત્રાવક્ષેત્ર 4,313 ચોરસ કિલોમીટરનો છે આ ડેમની જલસંગ્રહ શક્તિ 30,868 મિલિયન ઘનમીટરની છે. શેત્રુંજી ડેમથી ભાવનગર જિલ્લાના ભાવનગર, ગારિયાયધાર, સિહોર અને તળાજા જેવા શહેરોને પીવાનું પાણી તેમજ ગ્રામ્ય પંથકોમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.
300 મીટરનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે
આ સ્થળે વોટર એરોડ્રામ બનાવવામાટે અઢી એકર જમીન પર કાયમી ધોરણે 1.5 મિટરનો ડ્રાફ્ટ જરૂરી છે. જેના પર 300 મીટરનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જો કે આ યોજનાનો હજુ શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતવર્ગમાંથી વિરોધના સૂર ઊઠી રહ્યા છે. તેમને ભય છે કે, વોટર એરોડ્રામ બનશે તો તેમને સિંચાઈમાં મુશ્કેલી ઊભી થશે. જો કે ખેડૂતોને સતાવતો આ ભય પાયા વિનાનો છે તેમ કાર્યપાલક ઈજનેરનું કહેવું છે.
જે તે રાજ્યને મહેસૂલી આવક માટે પ્રવાસનનો વિકાસ કરવો જરૂરી છે. પરંતુ સાથે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, વિકાસની આડમાં ક્યાંક કૃષિનો ભોગ ન લેવાય. કારણ કે કૃષિના પાયા પર જ રાષ્ટ્રના વિકાસનું માળખું ટકેલું હોય છે.