ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે 11 જાન્યુઆરીથી શાળાઓ અનલોક થવા જઇ રહી છે. જોકે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સુચના મુજબ રાજ્યમાં ગાઇડલાઇન પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું છે. તેવામાં હવે શાળાઓ શરૂ થતા જ જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
ધોરણ 12 ની વિદ્યાર્થીનીને કોરોનાની પુષ્ટી થતા તંત્ર અલર્ટ
શાળામાં એક સપ્તાહ માટે શિક્ષણ કાર્ય બંધ રાખવા DEOના આદેશ
રાજ્યભરમાં ધોરણ-10 અને 12ની શાળાો શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા જ જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોનાની પુષ્ટી થતા તંત્ર અલર્ટ થયું છે. શાળામાં એક સપ્તાહ માટે શિક્ષણ કાર્ય બંધ રાખવા DEOએ આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ હોસ્ટેલમાં પ્રવેશ પૂર્વે જ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાળા અને હોસ્ટેલ બંધ રાખવા માટે તંત્રએ આદેશ કર્યા છે.
જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું
જોકે જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો સિંગલ ડિઝીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરની સરકારી GG હોસ્પિટલમાં જામનગર શહેરના 08 પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. જ્યારે ગ્રામ્યનો માત્ર 01 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,687નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,295નો થયો છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.