કોરોના વાયરસ મહામારીની વચ્ચે આજથી રાજ્યમાં ધોરણ 6થી 8ની શાળાઑ શરૂ કરી દેવામાં આવી છે.
ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
વાલીઓ પાસેથી સંમત્તિ પત્ર અનિવાર્ય
દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે કેટલાય મહિનાઑ સુધી શૈક્ષણિક કાર્ય થઈ શક્યું નથી અને હજારો લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું છે ત્યારે જેમ જેમ મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે જનજીવન પણ સામાન્ય બનવા જઈ રહ્યું છે.
રાજ્યમાં ધોરણ 6થી ઉપરના તમામ વર્ગો શરૂ કરાઈ ચૂક્યા છે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ સૌથી પહેલા ઉચ્ચતર માધ્યમિકની શાળાઑ ખોળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ધીમે ધીમે અન્ય વર્ગોને પણ રાબેતા મુજબ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યની શાળાઑમાં મહિનાઑ બાદ ઘણા બધા વિધ્યાર્થીઓ પરત ફર્યા છે.
બાળકોના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે
કોરોના વાયરસનો પ્રકોપ ભલે ઓછો થયો હોય પરંતુ મહામારી હજુ ગઈ નથી. જેથી આ મહામારી ફરી ઊથલો ન મારે અને બાળકો તેમાં સપડાઈ ન જાય તે માટે શાળાઓને ખાસ તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઑમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કેવી છે શાળાઓમાં તૈયારીઓ
બાળકોના આરોગ્યનું શાળામાં વિશેષ ધ્યાન રાખવામાં આવશે અને શાળામાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનિંગથી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય જે બાળકો વાલીઓનું સંમતિ પત્ર સાથે લઈને આવી રહ્યા છે માત્ર તેમને જ શાળામાં આવવા દેવામાં આવે છે.