કોરોનાકાળમાં ગુજરાતમાં સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાને લઇને અડગ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વાલીઓ, તબીબો સહિત લોકોનું હાલમાં સ્કૂલો ન ખોલવાની તરફેણમાં જોવા મળી રહ્યાં છે. હાલ દિવાળીના તહેવારમાં રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ફરી વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શાળો શરુ કરવાના મુદ્દે હવે રાજ્યની મુખ્ય વિપક્ષ પાર્ટીએ કોંગ્રેસે પણ વિરોધ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં હાલ 23મીથી શાળાઓ શરુ કરવાને લઇને સરકારનું વલણ સ્પષ્ટ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું છે કે કોરોનાનો સેકન્ડ ફેઝ શરુ થઇ ગયો છે, ત્યારે શુ શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓના જીવ વાલા નથી.
ઉલ્લેખનીય છે હાલ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાકાળના આ સમયમાં શાળોઓ શરુ કરવી એ યોગ્ય નિર્ણય છે.
કોંગ્રેસે કહ્યું મુખ્યમંત્રીના વિસ્તારમાં જ 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. શું શિક્ષણમંત્રી એજ્યુકેશન સર્ટિફિકેટ આપવા માંગે છે કે ડેથ સર્ટિફિકેટ?, બાળકો સંક્રમિત થશે તો સરકારની જવાબદારી નહીં? સ્કૂલ સંચાલક અને સરકારની આ મિલીભગત છે. આ એક પ્રકારનો ફી લેવાનો કારસો છે. જો રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્યમાં સ્કૂલ મુદ્દે શાળા સંચાલક મહામંડળનું મોટું નિવેદન
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે શાળા સંચાલક મંડળનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ શરુ કરવાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવો જોઈએ. 23 નવેમ્બરથી શાળાઓ શરુ ન કરવી જોઈએ. 2 સપ્તાહ બાદ શાળાઓ શરૂ કરવાનો સરકાર નિર્ણય કરે તો સારૂ.
શું કહે છે વાલીઓ
વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે, કોરોનાની મહામારી જોતા શાળાઓ એક મહિના પછી શરૂ કરવામાં આવે. કેમ કે, બાળકોને કોરોના થશે તો તે માટે કોણ જવાબદાર ગણાશે? વાલીઓ દ્વારા તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
શું કહે છે ડોક્ટરો?
AMAનું કહેવું છે કે, ગુજરાતમાં હાલ કોરોના તહેવારોમાં વકર્યો છે અને બાળકો પાસે સોસિયલ ડિસ્ટન્સિંગથી લઈ તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવું અઘરૂં છે એટલે હાલ શાળાઓ શરૂ કરવી હિતાવહ નથી.
શાળા શરૂ કરવા સરકારના શું છે નિયમો?
ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થશે
શાળામાં હાજર રહેવા માટે વાલીઓનું સહમતિ પત્ર ફરજિયાત
શાળામાં હાજર રહેવાનો નિર્ણય વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે લઈ શકશે
સોમ, બુધ અને શુક્રવારે ધોરણ 10-12ના વિદ્યાર્થી રહેશે હાજર
મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 9-11 ના વિદ્યાર્થી હાજરી આપશે
સરકારની SOP પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે
વિષય અને અભ્યાસક્રમ અંગે શાળાના આચાર્ય નિર્ણય લેશે
શિક્ષકોએ પણ શાળામાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે
શંકાસ્પદ લક્ષણ દેખાય તો વિદ્યાર્થીઓને નહીં મળે પ્રવેશ
કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી કે સ્ટાફના કર્મીને પ્રવેશ નહીં
પરિવારમાં કોઈને કોરોના થયો હશે તો તેવા વ્યક્તિને પ્રવેશ નહીં
તમામ નિયમોના પાલન કરાવવા જિલ્લા તંત્રને સોંપાઈ છે જવાબદારી