ગુજરાતમાં કોરોના વાયરસની મહમારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં બીજી તરફ રાજ્યભરમાં ચોમાસુ સક્રિય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા 17મી સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓ રદ્દ કરવાની માંગને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળનો CMને પત્ર
ધો.10-12ની પુરક પરીક્ષા રદ કરવાની માગ
પરીક્ષા રદ કરી એવરેજ ગુણ આપવા કરી માગ
રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધોરણ-10 અને ધોરણ-12ની પુરક પરીક્ષા રદ કરવા માગ કરી છે. શાળા સંચાલકોએ માગ કરી છે કે પરીક્ષા રદ કરી અને ધોરણ-10માં નાપાસ વિદ્યાર્થીને સરેરાશ ગુણ આપવામાં આવે અને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવે.
જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ પ્રમોશન પદ્ધતિથી ગુણ આપવામાં આવે અને વિજ્ઞાન પ્રવાહ બાદ બીએસસીમાં પ્રવેશ લેવા માગતાને પણ પ્રમોશન આપવાની માગ કરાઇ છે. જ્યારે મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માગતાની જ પરીક્ષા લેવા માગ કરી છે.
શાળા સંચાલક મહામંડળે કહ્યું કે કોરોના વાયરસના કહેર વચ્ચે પરીક્ષા લેવાથી સંક્રમિત થવાની શક્યતા છે. જ્યારે આ સાથે કેટલીક જગ્યાએ સેન્સેટિવ વિસ્તારમાં પુરક પરીક્ષાના કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આગામી 23થી 28 ઓગસ્ટે યોજાનાર પૂરક પરીક્ષા રદ કરી દેવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 27 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા પણ 25 ઓગસ્ટથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલશે.