રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, ભરૂચના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ :રાજ્યના ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ
રાજ્યના જળાશયોમાં નવાનીર
21 જળાશયોમાં 100% થી વધુ સંગ્રહ
12 જળાશયોને અપાયું એલર્ટ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91 ટકા જળસંગ્રહ
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૪૬.૯૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૬૦,૩૬૩ એમસીએફટી જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
જળાશયો કેટલા ભરાયા?
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૭ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૫૧ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૭૭ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
27 જળાશયો એલર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલ ૨૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલ ૬ જળાશયો મળી કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૨ જળાશયો એલર્ટ ઉપર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૭.૫૪ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૭.૩૬ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૭.૨૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૭.૯૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૬.૨૫ ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.