કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચાવડાએ રાજ્યસભાની ચૂંટણી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ આકરા પ્રહારો કર્યા હતા. તો તેના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વળતો જવાબ આપ્યો હતો. બન્ને નેતાઓના નિવેદનોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી 5 જુલાઈએ યોજાશે. ચૂંટણીપંચે બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજવાનુ નોટિફિકેશન જાહેર કર્યું છે. બહુમતીના જોરે ભાજપ રાજ્યસભાની બંને બેઠકો જીતી જાય તેવી શક્યતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ અને ઈલેક્શન કમિશનના મિલિભગતના આરોપો કર્યા છે.
રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, સરકાર દ્વારા સત્તાનો દુરૂપ્રયોગ કરવામાં આવ્યો છે. નિયમોની જોગવાઇ મુજબ બન્ને ચૂંટણી સાથે થવી જોઇતી હતી. પરંતુ ભાજપને ડર હતો કે કોંગ્રેસ એક બેઠક જીતશે જેને લઇને સરકાર દ્વારા ચૂંટણીપંચ પર દબાણ ઉભુ કરાયું હતું.
કોંગ્રેસના નેતાઓ પોતાના અરીસામાં જોઇ લેઃ વાઘાણી
કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના પ્રહાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વળતો જવાબ આપ્યો હતો. જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ પોતાના અરીસામાં જોઇ લેવુ જોઈએ. સાર્વજનિક જીવનમાં હાર-જીત પચાવવાની તાકાત હોવી જોઇએ. ગુજરાતમાં ભાજપનો વિજયરથ વણથંભ્યો જઇ રહ્યો છે. દેશની જનતા અને ચૂંટણીપંચ પર અમને ભરોસો છે. કોંગ્રેસને માત્ર ગાંધી પરિવાર પર જ ભરોસો છે. કોંગ્રેસને દેશની જનતા પર વિશ્વાસ નથી. 1994 અને 2002માં જ્યારે આ પ્રકારે ચૂંટણી કરી ત્યારે સારૂ લાગ્યું. કોંગ્રેસે પરાજય પચાવવો જોઇએ.
તો બીજી તરફ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, રાજ્યસભાની પેટાચૂંટણી એક સાથે થતી નથી. દર વખતે અલગ અલગ ચૂંટણી થતી હોય છે.