ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે હવે સરકાર દ્વારા એક પછી અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ કોરોનાના વધતા કેસ જોઈને ગુજરાતના કેટલાક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે આવો જાણીએ કે ક્યાં ક્યાં લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.
ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 21 સ્પેટમ્બર સુધી લોકડાઉન
સુરતના માંગરોળમાં 12 દિવસનું લોકડાઉન
રાજકોટના આ વિસ્તારો પણ રહેશે બંધ
રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો સ્વંયભૂ લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 21 સ્પેટમ્બર સુધી લોકડાઉન
ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.
સુરતના માંગરોળમાં 12 દિવસનું લોકડાઉન
સુરતના માંગરોળ તાલુકા મથકે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.
રાજકોટના આ વિસ્તારો પણ રહેશે બંધ
કોરોનાના કેસોમાં વધારો થતાં રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ વધતા રાજકોટ દાણાપીઠના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. 7 દિવસ દાણાપીઠમાં લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.
જૂનાગઢના કોયલાણા ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન
જૂનાગઢના કોયલાણા ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરી દેવાયું છે. માણાવદરના કોયલાણા ગામમાં 25 કેસ નોંધાયા છે. ત્યારે કેસમાં વધારો થતા કોયલાણા ગામના સરપંચે સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કોયલાણા ગામમાં સવારે 8થી 10 અને સાંજે 4થી 6 દુકાનો ખુલ્લી રહેશે. ઉપરાંત માસ્ક અને સામાજિક અંતરના નિયમનું પણ પાલન કરાશે. કોયલાણા ગ્રામજનોએ આરોગ્ય તંત્ર પર આરોપ લગાવ્યો છે કે કોયલાણા ગામમાં આરોગ્ય સેન્ટર પર પૂરતા સ્ટાફનો અભાવ છે. અને આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી કોઇ વ્યવસ્થા નથી કરવામાં આવી.