ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ શરૂ થયો છે, જાણો હવામાન વિભાગની શું છે આગાહી
સૌરાષ્ટ્ર બાદ ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં વરસાદ શરૂ
મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો
હજુ ચાર દિવસ આખા ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે તબાહી
ગુજરાતમાં આખો શ્રાવણ મહિનો કોરોધાકોર ગયો હતો જે બાદ ખેડૂતો અને સરકાર ટેન્શનમાં મૂકાઈ ગઈ હતી કે રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે ત્યારે આ તબાહીનાં દ્રશ્યોની વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ આજના દિવસ માટે પણ ઓરેન્જ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે વલસાડમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા જ્યારે ધરમપુર અને કપરાડા તાલુકામા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શરૂ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતનાં પાટણમાં ધોધમાર વરસાદની શરૂઆત સાંજના સમયે થઈ હતી. દિવાસભરના ઉકળાટ બાદ સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ
મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ અને નડિયાદમાં ભારે વરસાદ પડ્યો હતો જેમા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાંજના સમયે અચાનક જ કાળા ડિબાંગ વાદળાં છવાયા ગયા હતા અને તે બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. જોકે મધ્ય ગુજરાતમાં હજુ 40 ટકા વરસાદની ઘટ છે ત્યારે નડિયાદમાં પણ આજે સાંજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
સુરતમાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ
જ્યાં એક તરફ ગુજરાતનાં કેટલાય જિલ્લાઓમાં વરસાદણા કારણે તારાજી સર્જાઇ છે ત્યાં સુરતમાં સમી સાંજે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. વરસાદી માહોલની વચ્ચે સુરતમાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ થતાં લોકોએ પણ આહલાદક વાતાવરણને માણ્યો અને ખાણીપીણીની લારીઓ તથા દુકાનોમાં ભીડ જોવા મળી હતી.
અંબાલાલ પટેલની શું છે આગાહી?
છેલ્લા 3 દિવસથી વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તારીખ 15, 17 અને 22માં સારો વરસાદ રહેવાનું અનુમાન લગાવતા અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે વધુ વરસાદની આશા બંધાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ તો ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરી છે. વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે અરબ સાગરનું જોઈએ તે રીતે સક્રિય વહન કરી રહ્યું ન હતું પણ જોકે હવે પહેલા કરતાં સક્રિયતા વધતાં વરસાદ સાર્વત્રિક રહેશે તેવુ ભવિષ્ય ભાખ્યૂ હતું. 25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગાડશે તેવી પણ આગાહી કરી છે સાથે જ ભાલ વિસ્તાર અથવા બિન પિયત ખેતરોમાં ચણા અને ઘઉં સારા થવાની પણ સંભાવના સેવી છે
રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. લો પ્રેશર સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, તો આજે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ 5 દિવસ માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં હવામાને 3 દિવસ માટે એલર્ટ જારી કર્યા
13 સપ્ટેમ્બરના રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું
14 સપ્ટેમ્બેરના ઓરેન્જ એલર્ટ હવામાન જારી કર્યું
15 સપ્ટેમ્બરના રેડ એલર્ટની આગાહી
PGVCLને ફરી ફટકો
સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ PGVCLને ફરી ફટકો
સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘતાંડવનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ PGVCLને ફરી જોરદાર ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડા દરમિયાન વીજળીનાં કેટલાય પોલ પડી ભાંગ્યા હતા જે બાદ જામનગર સહિતનાં જિલ્લાઓમાં ઘણા દિવસ સુધી વીજ વ્યવવહાર ખોરવાયો હતો. હજારો વીજ પોલ ફરીથી ઊભા કરવા માટે સરકાર દ્વારા મોટા પાયે કામ કરવામાં આવ્યું હતું ત્યારે હવે પૂરનાં કારણે સૌરાષ્ટ્રમાં 545 વીજપોલ જમીનદોસ્ત થયા છે. રાજકોટના 23 અને જામનગરના 85 ગામ સહિત 145 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં સટાસટી
રાજ્યમાં 24 કલાકમાં ૫થી ૨૧ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ભારેથી અતિ ભારે વરસાદને કારણે વિવિધ સ્થળે જળબંબાકાર સર્જાયો હતો. લોધિકામાં સૌથી વધુ ૨૧ ઇંચ વરસાદ , વીસાવદર અને રાજકોટમાં ૧૬, કાલાવાડમાં ૨૦ ઇંચ વરસાદ પડતાં ૧૦૦૦થી વધુનું રેસ્ક્યુ કરાયું છે. છ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, આજે ૨૪ કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને અમરેલી, જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે સુરતનો ટ્રેન, બસ અને ફલાઇટ વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટ ડિવિઝનની ૩ ટ્રેન રદ રહી હતી, જ્યારે સુરત આવનારી ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રી-શેડ્યુલ કરવી પડી હતી. મુંબઇથી આવતી કેટલીક ટ્રેન પણ ૩૦થી ૪૫ મિનિટ જેટલી મોડી પડી હતી. સૌરાષ્ટ્રના ભારે વરસાદને લીધે અનેક બસ કેન્સલ કરવી પડી હતી. આજે પણ કેટલીક ટ્રેન મોડી પડશે.