વલસાડ: સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પ્રેરણા આપવામાં આવતી હોય છે. તમામ બાળકોને શિક્ષા મળે તે માટે સરકાર દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ વલસાડના પેણધા ગામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં શિક્ષણ મેળવવા માટે નાના ભૂલકાઓ જીવને જોખમમાં મુકી રહ્યા છે.
આ નાના બાળકો જેમને શિક્ષણ તો મેળવવું છે પરંતુ શાળા સુધી પહોંચવાનો માર્ગ ઘણો ખતરનાક છે. કારણ કે નદીની એક બાજુ ગામ છે અને નદીની બીજી બાજુ શાળા આવેલી છે. ત્યારે પેણધા ગામના 40 જેટલા બાળકોને શિક્ષણ મેળવા માટે નદી પાર કરવી પડે છે. આ નદી પર ન તો બ્રિજ છે.
ન તો કોઈ કોઝવે ન તો સરકાર દ્વારા કોઈ સેતુ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ નાના ભૂલકાઓ જીવને જોખમમાં મુકીને શિક્ષણ મેળવા માટે ધસમસતા પ્રવાહને પાર કરે છે.
ઉલ્લેખનીય છે કે આ બાળકો પ્લાસ્ટિકની થેલીમાં બેગને મુકીને નદીને ક્રોસ કરે છે અને સામે કાંઠે આવેલી શાળામાં શિક્ષણ મેળવવા માટે પહોંચે છે. જોકે સરકાર દ્વારા આજ દિન સુધી અહીં કોઈ જ પ્રકારની સુવિધા પહોંચાડવામાં આવી નથી. ત્યારે આ મામલે ગ્રામજનો સરકારને અપીલ કરી રહ્યા છે કે હવે બ્રિજ કે કોઝવે જેવી કોઈ સવલત ઉભી કરી આપો.
આપને જણાવી દઇએ કે બીજી તરફ ગ્રામજનો પણ પોતાના રોજિંદા કાર્યો માટે આ નદી ક્રોસ કરે છે. ગ્રામજનો ટયૂબના સહારે નદી ક્રોસ કરે છે. કોઈ બિમાર હોય સારવાર અર્થે જવું હોય કે અન્ય કોઈ સરકારી કામકાજ હોય. તેના માટે ગ્રામજનોએ ગામની બહાર જવાનું થાય છે અને ત્યારે આ નદી ક્રોસ કરવા સિવાય કોઈ માર્ગ નથી રહેતો.
જેથી તે લોકો પણ પોતાનો જીવ જોખમમાં મુકીને નદી પાર કરે છે. ત્યારે ગામના સરપંચ પણ કહી રહ્યા છે કે આઝાદીના સમયથી અહીં આ સ્થિતિ છે જોકે અત્યાર સુધી આવેલ કોઈ પણ સરકાર પૈકી તંત્ર પણ ફરક્યૂ નથી અહીં.