દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. ભરૂચમાં તો મેઘરાજા એવા મનમુકીને વરસ્યા છે કે શહેરમાં હોડીઓ દોડાવવાનો વારો આવ્યો છે.
ભરૂચમાંથી વહેતી નર્મદા નદી ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે. જેના કારણે નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે. અનેક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર પાણીમાં સમાઈ ગયા છે.
લોકોએ પોતાના રોજિંદા કામ માટે વાહનોની જગ્યાએ હોડીનો સહારો લેવો પડ્યો છે. ભરૂચની બજારના દ્રશ્યો તો એવા છે કે જાણે આખી નર્મદા નદી બજારમાં ધસી આવી હોય. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.
જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી નર્મદા નદીમાં છોડાતા શહેરના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે. નદી કાંઠાના લોકોને સાવચેત કરાયા છે અને કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
નર્મદા ડેમની પાણીની આવકમાં વધારો
નર્મદા ડેમમાં પાણીનો સતત પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં ઇતિહાસમાં પ્રથમવાર સપાટી 136.51 મીટર પહોંચી છે. હાલ 6 લાખ 77 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અને 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5 લાખ 85 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાં 5 હજાર જેટલો mcmનો લાઈવ સ્ટોક સંગ્રહ થઈ છે.
તો આવક વધુ રહે તો 1 કલાકમાં જ ડેમમાંથી 10 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની શકયતા રહેલી છે. નર્મદા નિગમની વડોદરાની ઓફિસ દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે.
ત્રણેય જિલ્લા કલેકટરને આ અંગે સાવચેત કરવામાં આવ્યા છે. આ અંગે નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર ગુપ્તાએ જણાવ્યુ હતું કે નર્મદા, ભરૂચ અને વડોદરાના સ્થાનિકોએ ગભરાવવાની જરૂર નથી. દરેક જગ્યાએ NDRFની ટિમો તૈનાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ
સમગ્ર ગુજરાતમાં વરસાદની છેલ્લી બેટીંગ તોફાની રહી છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઠ, ભાવનગર, રાજકોટમાં સારો વરસાદ થયો છે. આમ જૂનાગઢના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો છે. આ વરસાદથી મઘુવંતી ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે. ઉપરવાસમાં વરસાદથી મઘુવંતી ડેમ ઓવરફ્લો થયો છે.